Western Times News

Gujarati News

અમદાવાદમાં 8મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની અદાણી શાંતિગ્રામમાં ઉત્સાહભેર ઉજવણી

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, કલેકટર સંદીપ સાગલે સહિતના મહાનુભાવોએ નાગરિકો સાથે કર્યા યોગ -માત્ર 21 જૂન જ નહીં, પ્રતિદિન યોગદિન બને તેવી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની જાહેર અપીલ

21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ જોડાયા હતા.

આ વર્ષનો મધ્યવર્તી વિચાર ‘માનવતા માટે યોગ’ને સાર્થક કરવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર પહોંચ્યા હતા.

યોગનું મહત્વ સમજાવતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ સપ્ટેમ્બર 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ UN સમક્ષ મુકાયો અને 2015થી તેની ઉજવણીની શરૂઆત પણ થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રથમ સોપાનમાં 84 દેશોએ ભાગીદારી નોંધાવી હતી અને આજે 130 દેશના નાગરિકોએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવ્યો છે.

યોગ ક્ષેત્રે સર્જાયેલા વિવિધ વિક્રમનો ઉલ્લેખ કરીને મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, બાઈક પર, પાણીમાં, ગગનચુંબી પર્વત શિખરો પર યોગ કરીને યોગપ્રેમીઓએ યોગને વિશ્વફલક પર વિખ્યાતી અપાવી ભારતીય સંસ્કૃતિની ઓળખ દુનિયાને કરાવી.

જેટલા ઉત્સાહ સાથે નરેન્દ્રભાઈએ યોગદીવસની ઉજવણીનો વિચાર મુક્યો એટલા જ ઉત્સાહથી વિશ્વના બહુલ દેશોએ તેને સ્વીકારી લીધો છે. કોરોનાકાળમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગનો વ્યાપક પ્રસાર-પ્રચાર-સ્વીકાર થયો અને આપણે સૌ સ્વસ્થ રહી શક્યા એ બદલ નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

અંતે મંત્રી શ્રીએ યોગ દિવસ માત્ર 21 જૂન દિવસ પૂરતો સીમિત ન રાખી પ્રતિદિન યોગદિન બનાવીએ એવી જાહેર અપીલ પણ કરી.

રાજ્ય યોગબોર્ડના સભ્યોએ ઉપસ્થિત મહાનુભાવો સહિત હાજર લોકોને વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. યોગાભ્યાસ કર્યા બાદ શારીરિક અને માનસિક શાંતિ તથા તાજગીનો અનુભવ ઉપસ્થિત સૌ કોઈએ કર્યો. આજના યોગદિનની ઉજવણીમાં દિવ્યાંગોની હાજરી પણ તમામ માટે પ્રેરણા બની હતી.

આજની આ ઉજવણીમાં કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વન સંરક્ષક ઉપસ્થિત રહ્યા. સાથોસાથ વિવિધ સામાજિક, અઘ્યાત્મિક સંસ્થાઓ, સોસાયટીના સભ્યો, જિલ્લાના વિવિધ વિભાગમાં કાર્યરત અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અંતે અહીં ઉપસ્થિત સૌ કોઈ યોગથી સ્વસ્થ રહેવા અને બીજાને યોગ માટે પ્રેરણા આપી માનવતાની માવજત કરવા સંકલ્પબદ્ધ થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.