Western Times News

Gujarati News

તિથલ રોડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે હોમિયોપેથ OPDનો શુભારંભ

વલસાડના તમામ સરકારી હોમિયોપોથીના દવાખાનામાં ચિકિત્‍સકોની નિમણૂંક

રાજ્‍ય સરકાર લોકોના સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે વધુ સંવેદનશીલ બનીને અનેક કલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ત્‍યારે વલસાડની સમગ્ર જનતાની સેવામાં એક વધુ સોપાન આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના આયુષ વિભાગ ગાંધીનગર દ્વારા ઉમેરાયું છે. વલસાડના તીથલ રોડ પર આવેલી સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ ખાતે હોમિયોપેથિક ઓપીડીનો જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇના હસ્‍તે શુભારંભ કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો.

તાજેતરમાં રાજ્‍ય સરકારે અનેક હોમિયોપેથિક ડોક્‍ટરોની નિમણૂંક કરી છે. જે પૈકી વલસાડ ખાતેની જનરલ હોસ્‍પિટલમાં ડો.પરિતા પટેલ, ડુંગરી સી.એચ.સી.માં ડો. નિકુંજ ગામીત, સેગવીમાં ડો.કામીની પટેલ, માણેકપોર ખાતે ડો.વૈભવી વસાવા તેમની સેવાઓ આપશે, જેનો જિલ્લાની જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત જિલ્લાના ૧૯ આયુર્વેદ દવાખાનાઓમાં નવા ડૉક્‍ટરોની નિમણૂંક કરવામાં આવી હોઇ આયુર્વેદ સેવાનો લાભ લેવા પણ જણાવાયું છે. વલસાડ જિલ્લાના તિથલ, હરિયા, ખાંડા, નેવરી, જોગવેલ, ધોડીપાડા, નાનીદાંતી, કોસંબા, ખારવેલ, કપરાડા, પારડી, વલસાડ સિવિલ, મરલા, ફલધરા, તિસ્‍કરી તલાટ, સલવાવ, નારગોલ, ભૂતસર તથા માણેકપોર ખાતે આયુર્વેદ દવાખાનાઓ કાર્યરત છે.  આ અવસરે જિલ્લા આયુર્વેદ અધિકારી એમ.ડી.ચૌધરી, અધિક્ષક વૈદ્ય મનહર ચૌધરી તથા મેડીકલ ઓફિસર વૈદ્ય સુમિત પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.