Western Times News

Gujarati News

હોમ એપ્લાયન્સિસની પસંદગી અને તેનો કાળજીપૂર્વક વપરાશ પૃથ્વીનું રક્ષણ કરી શકે છે

ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે – ‘ઑન્લી વન અર્થ.’ આ થીમ પરિવર્તનકારક નીતિઓ તથા સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પ્રકૃતિ સાથે વધારે સમન્વયમાં સાતત્યપૂર્ણ જીવનના મહત્વ પર ભાર મૂકે છે. અત્યારે હોમ એપ્લાયન્સિસ આપણા જીવનના દરેક પાસાંને સ્પર્શે છે, જે આપણા અને આપણા પરિવારજનો માટે રોજિંદા કાર્યોને વધારે સરળ બનાવે છે.

ઉપકરણો જે સુવિધા પ્રદાન કરે છે એ માટે વીજળી કે પાણી જેવા સંસાધનોનો ઉપયોગ કરે છે, જેનો વપરાશ પુનરાવર્તિત ધોરણે થાય છે. વળી આ ઉપકરણઓ બનાવવા માટે પણ સંસાધનોનો ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉપકરણ ઉત્પાદકો અને ગ્રાહકો એમ બંને માટે મહત્વપૂર્ણ બાબત છે – પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન વધારવું અને ઉપકરણનો કાળજીપૂર્વક વપરાશ કરવો.

તાજેતરના ઇન્ડિયા એનર્જી આઉટલૂક રિપોર્ટ મુજબ, ભારત દુનિયામાં ઊર્જાનો વપરાશ કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે, જે માટે વધતી આવક અને જીવનના ધારાધોરણોમાં સુધારો મુખ્ય જવાબદાર પરિબળ છે. ભારતની વસ્તી સતત વધી રહી છે અને આવકનું સ્તર વધી રહ્યું છે. વળી માળખાગત સુવિધાઓનો પણ વિકાસ થઈ રહ્યું છે, જે વીજ ઉપકરણો સાથે જીવનશૈલીની ગુણવત્તામાં સુધારો વ્યક્ત કરે છે.

આ પરિબળોને પગલે વીજવપરાશમાં મોટો વધારો થશે. એની સીધી અસર આબોહવાની કટોકટી પર થશે, જેની આપણા દેશ અને દુનિયા પર અસર થશે. આ તબક્કે આપણે દરેકે આપણા પૃથ્વીનું રક્ષણ કરવા શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાની શરૂઆત કરવી મહત્વપૂર્ણ બાબત છે – જે માટે ઊર્જાદક્ષ અને પર્યાવરણને અનુકૂળ ઉપકરણોને અપનાવીને શરૂઆત કરવી જોઈએ.

જવાબદારીયુક્ત કૂલિંગ –ઉપભોક્તાઓ માટે જીવનને સરળ બનાવતા વિવિધ ઉપકરણોમાં પર્યાવરણ પર સૌથી વધુ અસર કરતું એક ઉપકરણ છે – એર કન્ડિશનર. એટલે પર્યાવરણલક્ષી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એના પર સૌપ્રથમ વિચાર કરવો જોઈએ.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, ઉનાળામાં દર વર્ષે તાપમાનનો પારો વધુને વધુ ઊંચે ચડી રહ્યો છે. આઇએમડીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે પણ ઉનાળામાં ગરમીની લહેર રેકોર્ડ બ્રેકિંગ હતી અને દેશના સાત શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું હતું. આ પ્રકારના સ્થિતિસંજોગોમાં એસીને લક્ઝરી ન ગણી શકાય અને અતિ ગરમીમાંથી રાહત મેળવવા જરૂરી ઉપકરણ બની ગયું છે.

દરેક એસી રૂમનું તાપમાન ઘટાડવા એની એર કન્ડિશનિંગ સિસ્ટમમાં કેટલાંક રેફ્રિજરન્ટનો ઉપયોગ કરે છે. ઘણા ઉપભોક્તાઓને ખબર નથી કે, આ રેફ્રિજરન્ટ્સ પર્યાવરણ પર નુકસાનકારક અસર કરે છે. જ્યારે મોટા ભાગની બ્રાન્ડ ઓઝાનને અનુકૂળ રેફ્રિજરન્ટ્સ તરફ વળી ગયા છે,

ત્યારે ઉપભોક્તાઓએ તેમના એસીમાં ઉપયોગ થતા રેફ્રિજરન્ટની ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ (જીડબલ્યુપી – ગ્લોબલ વોર્મિંગની સંભવિતતા)ને ધ્યાનમાં લેવી જરૂરી છે. R290 ફક્ત 3 GWP સાથે પર્યાવરણે સૌથી વધુ અનુકૂળ એસી રેફ્રિજરન્ટ છે. પછી R32 એક 675 GWP છે. R410 જેવા 1800 કે વધારે GWP ધરાવતા અન્ય રેફ્રિજરન્ટનો ઉપયોગ કેટલીક બ્રાન્ડ કરે છે, જે પર્યાવરણને અતિ નુકસાનકારક છે.

રેફ્રિજરેટર્સ પણ રેફ્રિજરન્ટ્સનો ઉપયોગ કરે છે અને સામાન્ય રીતે R600aનો ઉપયોગ થાય છે, જે અતિ ઓચી 3 GWP ધરાવે છે. થર્મ-ઇલેક્ટ્રિક ટેકનોલોજી જેવી અદ્યતન કૂલિંગ ટેકનોલોજી છે, જે 0 GWP સાથે સંપૂર્ણપણે રેફ્રિજરન્ટથી મુક્ત છે, જેનો ઉપયોગ અત્યારે નાનાં કૂલિંગ સોલ્યુશનમાં થાય છે. તેનો ઉપયોગ બેડરૂમ, કિચન, લિવિંગ રૂમ કે ઓફિસમાં વધારાના કૂલિંગ સોલ્યુશન તરીકે થઈ શકશે.

ઊર્જાની બચતની ખાસિયતો –કોઈ પણ મોટા ઉપકરણની ખરીદીમાં મહત્વપૂર્ણ રોકાણની જરૂર છે, પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, હોમ એપ્લાયન્સનો કાર્યકારી ખર્ચ એક સતત ખર્ચ છે, જેનું વહન ઉપભોક્તાઓએ પ્રોડક્ટના લાઇફટાઇમ દરમિયાન કરવું પડે છે.

ભારત સરકારે બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી વ્યવસ્થા અંતર્ગત એનર્જી રેટિંગ સિસ્ટમ સ્થાપિત કરી છે, જે એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનને તેમના વીજળીના વપરાશને આધારે 1 સ્ટારથી 5 સ્ટારની રેન્જમાં સ્ટાર આપે છે. જેટલું આ રેટિંગ વધારે, તેટલો વીજળીનો વપરાશ ઓછો.

એટલે ઉપભોક્તાઓએ ઉપકરણોના સ્ટાર રેટિંગનો વિચાર કરવો જોઈએ અને આ ઉપરાંત વધારે અસરકારક વિકલ્પ પસંદ કરવા એનર્જી એફિશિયન્સી રેટિંગનો અભ્યાસ કરવો જોઈએ. એર કન્ડિશનર્સ મહત્તમ ઊર્જાનો વપરાશ કરે છે અને એનર્જી લેબલની વિગત ISEER (ઇન્ડિયન સિઝનલ એનર્જી એફિશિયન્સી રેશિયો) જણાવે છે  – આ રેશિયો યુનિટમાં અંદાજિત વીજવપરાશની સાથે એસીની ઊર્જાદક્ષતાને બયાન કરે છે.

પાણી અન્ય એક મહત્વપૂર્ણ સંસાધન છે; આ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં આપણે એનો બગાડ ટાળવા કાળજી રાખવી જોઈએ અને આપણી ભાવિ પેઢીઓ માટે એનો વિવેકસર ઉપયોગ કરવો જોઈએ. ઘણા હોમ અને કિચન એપ્લાયન્સિસ પાણી પર નિર્ભર છે – જેમ કે વોશિંગ મશીનો અને તાજેતરમાં પ્રસ્તુત થયેલા ડિશવોશર. ઉપભોક્તાઓએ આ મશીનોનો ઉપયોગ કરતાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે ઇકો મોડ, જે પાણી, ઊર્જા અને સમયને ઓટોમેટિક એડજસ્ટ કરે છે તથા ઓછી ઊર્જાનો વપરાશ સુનિશ્ચિત કરે છે.

પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વિચારો અને કુશળતાપૂર્વક કામ કરો

પર્યાવરણ પર થતી અસરનો કાળજીપૂર્વક વિચાર કરવો અને ઉપકરણની ખરીદીના સમયે પર્યાવરણને વધારે અનુકૂળ પસંદગી કરવા એને ગણતરીમાં લેવા ઉપરાંત ઉપભોક્તાઓએ તેમના ઉપકરણોનો ઉપયોગ વધારે સભાનતાપૂર્વક કરવા જોઈએ અને તેમાં પણ પર્યાવરણ પર એની અસરને ધ્યાનમાં રાખવી જોઈએ.

તમામ વીજ ઉપકરણોના વપરાશ પછી તેને સ્ટેન્ડબાય મોડ પર રાખવાને બદલે પ્લગ પોઇન્ટમાંથી કાઢીને તેને બંધ કરવા જેવી નાની કાળજી રાખવાથી બિનજરૂરી વપરાશમાં ઘટાડો થાય છે. વળી આ ઉપકરણોની નિયમિત રીતે જાળવણી કરવા ચેકિંગ વગેરે કરવું જોઈએ. એર કન્ડિશનર્સ માટે – તેને અતિ ઓછા તાપમાને સતત ચલાવવાથી વધારે ઊર્જાનો વપરાશ થાય છે એટલે 24 ડિગ્રી જેવા અસરકારક તાપમાને સેટ કરો, આરામદાયક ઊંઘ માટે રાતે સ્લીપ મોડનો ઉપયોગ કરો અને વધારે ઠંડક ન થાય એ સુનિશ્ચિત કરો, જ્યારે એસીનો ઉપયોગ કરો ત્યારે બારીબારણા બંધ રાખો, દિવસના સમયે એસીના ઉપયોગ સમયે પડદા પાડો, અસરકારક કામગીરી માટે ફિલ્ટર્સ ચોખ્ખા જાળવો – આ તમામ મૂળભૂત સ્વચ્છતા જાળવવા માટેના પગલાં છે, જેને ઉપભોક્તાઓએ એસીનો વધારે સસ્ટેઇનેબ્લ રીતે ઉપયોગ કરવા અપનાવવા જોઈએ.

કંપનીઓ અને ઉપભોક્તાઓએ સતત, રિસાઇકલ કરી શકાય અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનના પેકેજિંગ તથા ઇ-કચરા માટે ઉચિત રિસાઇકલિંગના વિકલ્પોના ઉપયોગ પર પણ ધ્યાન આપવું જોઈએ. આપણે અત્યારે આપણી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પસંદ કરવાની જવાબદારી ધરાવીએ છીએ. અત્યારે દુનિયા આબોહવાની કટોકટીનો સામનો કરી રહ્યાં છે, જે પૃથ્વીના સંસાધનોના આપણા અનુચિત ઉપયોગનું પરિણામ છે. એટલે આપણે આબોહવાની કટોકટીનું સમાધાન કરવા ગંભીર પ્રયાસ કરવો જોઈએ. વળી આ પ્રકારના ઉત્પાદનો ઉત્પાદનના વપરાશ ખર્ચમાં પણ ઘટાડો કરશે અને ગ્રાહકોને નાણાંની વધારે બચત કરવામાં મદદરૂપ થશે. એટલે સ્પષ્ટપણે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તમામ માટે લાભદાયક સ્થિત છે.

લેખક – કમલ નંદી – બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ, ગોદરેજ એપ્લાયન્સિસ, ગોદરેજ એન્ડ બૉય્સની કંપની


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.