Western Times News

Gujarati News

ગાઝીપુર-દિલ્હી સરહદે કાયદો રદ કરાવવા ખેડૂતોનો જમાવડો

નવી દિલ્હી, બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને નવી ગતિ મળી છે. દિલ્હી-ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોનો જમાવડો થયો છે. શુક્રવાર સવારે હજારોની સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જગ્યાઓથી પહોંચ્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત માટે ગામથી પાણી અને છાશ આવી હતી. રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે તેઓ ઉપવાસની શરૂઆત કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમના ગામથી પાણી નહીં આવે તો તેઓ પાણી નહીં પીવે.

હવે શુક્રવાર સવારે ગામથી આવેલા ખેડૂતો પાણી અને છાશ લઇને પહોંચ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પોલીસે પાણી બંધ કરી દીધું છે, અમે આખા ગાઝિયાબાદને જ પાણીથી ભરી દેશું. ઉલ્લેખનીય છે કે ગાઝીપુર બૉર્ડર પર પાણીની સુવિધા બંધ કરી દેવામાં આવી, સાથે જ અહીં ઉભેલા અસ્થાઈ શૌચાલયોને હટાવી દેવામાં આવ્યા હતા. જાે કે જે વીજળી કાપવામાં આવી હતી તે ફરી જાેડી દેવામાં આવી. શુક્રવાર સવારે મુઝફ્ફરનગર, બાગપત, બિજનૌર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે.

રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી પણ શુક્રવાર સવારે ગાઝીપુર બૉર્ડર પહોંચ્યા. જયંતે કહ્યું કે, તેઓ ખેડૂતોની સાથે છે અને યૂપી સરકાર સતત ખેડૂતો પર પ્રદર્શન હટાવવાનો દબાવ બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાકેશ ટિકૈત ગઇકાલે ભાવુક પણ થઈ ગયા હતા અને તેમણે ખેડૂતોને અપીલ કરી હતી. ત્યારબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક ગામથી જાટ સમુદાયના ખેડૂતો મોટી સંખ્યામાં ગાઝીપુર બૉર્ડર આવી ગયા હતા.

દરમિયાન ૨૬ જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા બાદથી ખેડૂત આંદોલન ઠંડુ પડતું જાેવા મળી રહ્યું હતુ, પરંતુ ગુરૂવારના ગાઝીપુર બૉર્ડર પર રાકેશ ટિકૈતના રડ્યા બાદ માહોલ ફરી બદલાઈ ગયો છે. આ દરમિયાન તેમના ભાઈ નરેશ ટિકૈતે મુઝફ્ફરપુરમાં શુક્રવારના મહાપંચાયત કરવાની જાહેરાત કરી છે. મોડી રાત્રે નરેશ ટિકૈતે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘મહેન્દ્ર સિંહ ટિકૈતના દીકરા અને મારા નાના ભાઈ રાકેશ ટિકૈતના આ આંસૂ વ્યર્થ નહીં જાય. સવારે મહાપંચાયત થશે અને હવે અમે આ આંદોલનને નિર્ણાયક સ્થિતિ સુધી પહોંચાડીને દમ લઇશું.’

એક બીજી ટ્‌વીટમાં નરેશ ટિકૈતે કહ્યું કે, હરિયાણાના ગામેગામથી ખેડૂત ભાઈઓ ગાઝીપુર બૉર્ડર તરફ ચાલવા માંડ્યા છે. હવે તો ત્રણેય કાયદાઓને નીપટાવીને જ પાછા ઘરે ફરશે. બાબા ટિકૈતનો એક-એક સૈનિક દિલ્હી કૂચ કરે. સરકારના નિશાને આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતને આરએલડીનો સાથ મળ્યો છે. આરએલડી નેતા અજિત સિંહે રાકેશ ટિકૈત સાથે વાતચીત કરી અને કહ્યું કે, તમે ચિંતા ના કરો, તમામ તમારી સાથે છે. અજિત સિંહ અને રાકેશ ટિકૈતની વાતચીતની જાણકારી અજિત સિંહના દીકરા જયંત ચૌધરીએ આપી.

તેમણે કહ્યું કે, અજિત સિંહે સંદેશ આપ્યો છે કે ચિંતા ના કરો, ખેડૂતો માટે જીવન-મરણનો પ્રશ્ન છે. સૌએ એક થવાનું છે – સાથે રહેવાનું છે. ગાઝીપુર બૉર્ડર પર ફરીથી એકવાર ખેડૂત ભેગા થવા લાગ્યા છે. અહીં મેરઠ, બડૌત, બાગપત, મુરાદનગરથી ખેડૂત પહોંચી રહ્યા છે. રાષ્ટ્રીય જાટ મહાસંઘ પણ ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને પોતાનું સમર્થન આપવા માટે પહોંચી રહ્યું છે. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રોહિત જાખડનું કહેવું છે કે આ ખેડૂતોની લડાઈ છે. સવાર સુધી એકવાર ફરી હજારો ખેડૂતો ગાઝીપુર બૉર્ડર પહોંચશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.