Western Times News

Gujarati News

42 વર્ષીય બ્રેઇન ડેડ થયેલ ધર્મેશભાઇ પટેલના અંગદાન દ્વારા 4 લોકોનું જીવન સુધર્યુ

અમદાવાદ સિવિલમાં 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા: પ્રત્યારોપણ બાદ 10 થી 15 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતામાં સુધારો થયો

ખાનગી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થયેલ દર્દીનું સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં અંગદાન કરી પ્રત્યારોપણ થયુ હોય તેવી પહેલી ઘટના

ભારતીય સંસ્કૃતિમાં અન્ન દાન, રક્ત દાન જેવા વિવિધ દાનનો મહિમાં સમજાવવામાં આવ્યો છે.પરંતુ 21મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે.ભગવાન માણસને બનાવે છે, માણસને જીવન બક્ષે છે .પરંતુ માનવી જ્યારે જીવન ટૂંકાવી દે છે ત્યારે તેના અંગો થકી 6 થી 8 વ્યક્તિ જીવી શકે છે તેમનું જીવન ઘોરણ સુધરી શકે છે.

આવી જ એક ઘટના બની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં.26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમ એમ્બ્યુલન્સ લઇને પહોંચી અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં.

નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કરાતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ઘર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાત દર્દિની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતા માલૂમ પડ્યુ કે ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરવું શક્ય છે. જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે.

મૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે “ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા. ત્યારે જ અમને લાગ્યુ હતુ કે જીવન અને મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશકેલ બની રહ્યુ છે.

આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા અમારા પરિવારના બધા સભ્યોએ ભેગા મળીને અંગદાન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો.

ધર્મેશભાઇના પરિવાર જનો કહે છે કે જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવુ એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજે કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જોઇએ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી કહે છે કે “અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇનડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે જેના થકી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે.

ધર્મેશભાઇ પટેલના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે. અમારા સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ ખંતપૂર્વક બ્રેડ દર્દીઓના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી ને મહત્તમ લોકો આ અંગ દાન ના મહાયજ્ઞમાં જોડાયેલ તે માટેના પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે જ ખૂબ જ ટૂંકા ગાળામાં અમને આ જવલંત સફળતા મળી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.