Western Times News

Gujarati News

સુરતમાં પાણી ભરેલા ડ્રમમાં પડતા બાળકનું મોત

સુરત, સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં મામાને ત્યાં રહેતું બે વર્ષનું બાળક રમતા રમતા પાણી ભરેલા ડ્રમમાં પડી જતા તેનું કરૂણ મોત નીપજયુ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, મૃતક બાળકના પિતાએ બાળકના મોતને લઇ ગંભીર સવાલો પણ ઉઠાવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુસુફ પઠાણ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી બંને છેલ્લા ૭ મહિનાથી અલગ રહેતા હતા. પત્ની તેના ભાઇના ઘરે બે વર્ષના પુત્ર યુનુસ સાથે રહેતી હતી. જેને લઇને સુરત કોર્ટમાં કેસ ચાલતો હતો. પરંતુ યુસુફ તેની પત્ની અને બાળકને લઇ જવા માટે તૈયાર ન હતો. આ દરમિયાન ટ્રિપલ તલાકનો કાયદો આવતા યુસુફ તેની પત્નીને લઇ જવા માટે તૈયાર થયો હતો.

જા કે, ગઇકાલે શનિવારે બે વર્ષનો યુનુસ તેના મામાના ઘરે રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા તે ઘરમાં રાખેલા પાણી ભરેલા ડ્રમમાં પડી ગયો હતો. બીજી તરફ યુનુસ ઘરમાં ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. એક કલાક બાદ યુનુસ ૩૫ લિટરના પાણી ભરેલા ડ્રમમાંથી મળી આવ્યો હતો. તુરંત જ તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંથી બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પણ ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પરિવારજનોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ, પોતાના બે વર્ષના બાળક યુનુસના મોતને લઇ પિતા યુસુફ પઠાણે ગંભીર સવાલો ઉઠાવી તેનું મોત રહસ્યમય રીતે થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેના મામા ૫ાંચ લાખ રૂપિયાની માંગણી કરતા હોવાના આક્ષેપ પણ કર્યાં હતા. જેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.