Western Times News

Gujarati News

ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત ગુજરાત આવશે

નવી દિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાતનો પ્રવાસ કરશે. ટિકૈતે આ ટિપ્પણી દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર ગાઝીપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના એક સમૂહ સાથે મુલાકાત દરમિયાન કરી. રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર નવેમ્બરથી ડેરો જમાવીને બેઠા છે.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો કે ખેડૂતો આખરે પોતાની કૃષિ ઉપજનો કોઈ ભાગ લઈ શકશે નહીં કારણ કે નવા કાયદા ફક્ત કોર્પોરેટનો પક્ષ લેશે. બીકેયુ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અમે એવી સ્થિતિ થવા દઈશું નહીં.

અમે ફક્ત એ અંગે ચિંતિત છીએ અને આ દેશના પાકને કોર્પોરેટ નિયંત્રિત કરે એ અમે થવા દઈશું નહીં. ગુજરાતના ગાંધીધામથી આવેલા એક સમૂહે ટિકૈતને ચરખો ભેંટ કર્યો. તેમણે કહ્યું કે ગાંધીજીએ બ્રિટિશને ભારતથી ભગાડવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો.

હવે અમે આ ચરખાનો ઉપયોગ કરીને કોર્પોરેટને ભગાડીશું. અમે જલદી ગુજરાત આવીશું અને નવા કાયદાને રદ કરવા માટે ખેડૂતોના પ્રદર્શન માટે સમર્થન ભેગું કરીશું. આ બધા વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાની ૨૦થી વધુ મહિલાઓ ગાઝીપુરમાં આંદોલનમાં સામેલ થઈ અને આંદોલનને પોતાનું સમર્થન આપવા માટે આશ્વાસન આપ્યું.

દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર હજારો ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણી છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને રદ કરે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવા માટે કાયદો બનાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.