Western Times News

Gujarati News

ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રીએ અંબાજીના દર્શન કર્યા

ફાઈલ

મહેસાણા,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અંજલી રૂપાણી સાથે  રવિવારે સવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે

ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માં અંબાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક કરી હતી. રૂપાણીએ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રદ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી, સોમનાથ, પાલીતાણા, દ્વારકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જાેડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે.

અંબાજીમાં આદ્યશકિત માંના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જાેગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

વિજય રૂપાણીએ અંબાજીનો ‘વેલ પ્લાન્ડ સિટી’ તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ સુદ્રઢ બનાવવાની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.