Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી સોનલબેનની બે વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો

અત્યંત જટીલ અને પડાકરજનક રીવીઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન

કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન એક કરી રહ્યો છે, તેવા સમયે સિવિલ હોસ્પિટલમાં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે  માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે.

રાજકોટના નિવાસી 17 વર્ષના સોનલબેનને બે વર્ષ અગાઉ અક્સમાત થતા કમરના મણકામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે કારણોસર સોનલબેને રાજકોટની પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવીને ગાદી કઢાવી હતી અને પાંજરું (કૅજ) મૂકાવ્યુ હતું. ઓપરેશન બાદ સોનલબેનને ચેપ લાગતા પરુ આવવાનું શરૂ થયું હતું. આટઆટલું કરવા છતાંય બે વર્ષ બાદ સોનલબેનની દુઃખાવા અને પરુ નીકળવાની તકલીફમાં વધારો થવા લાગ્યો.

આ વખતે ફરી વખત એ જ પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા. તબીબે ફરી વખત સર્જરી કરવા કહ્યું. જે અંદાજિત 5 લાખના ખર્ચે થાય તેમ હતી. સોનલબેનના ગરીબ પરીવાર માટે આ અત્યંત ખર્ચાળ હતુ. આ વખતે મૂળ પ્રશ્ન સર્જરીની વિશ્વનીયતાનો પણ હતો. જે કારણોસર સોનલબેનના પરિવારે રીવીઝન સ્પાઇન સર્જરી કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવવાનું નક્કી કર્યુ.

કોરોના હોય કે ભલભલી આપદાના કપરા કાળમાં પણ આપણાં સમાજમાં ઘણાં એવા લોકો હોય છે કે જેમની અન્ય શારીરિક સમસ્યાઓ ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોય છે અને તેમના માટે વિકરાળમાં વિકરાળ આપદાઓ પણ ગૌણ બની જતી હોય છે. સોનલબેન માટે આ જ સ્થિતિ હતી.

અહીંથી જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભૂમિકા શરૂ થાય છે. સોનલબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. X-Ray, MRI, CT સ્કેન સહિતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે સોનલબેનની કમરમાં નાખેલા પાંજરામાં જ ચેપ લાગેલો હતો. કરોડરજ્જુમાં આ પ્રકારની રિવિઝન સ્પાઇન સર્જરી ખુબ જ જટિલ હોય છે કારણકે તેમાં કરોડરજ્જુમાં આવેલી ચેતાતંતુઓ ડેમેજ થવાનો,ઓપરેશન દરમિયાન ફરી ચેપ લાગવાનો પણ ભય હોય છે.

અગાઉ થયેલ ઓપરેશનમાં બધા સ્ક્રૂ કઢાવી નાખ્યાં, પરંતુ ચેપ તો કમરમાં નાખેલા પાંજરામાં જ લાગેલો હતો અને એ પાંજરુ જ કઢાયું નહોતું. આ પરિસ્થિતિમાં દર્દીની સ્થિતિ ખુબ જ દયનીય બની જતી હોય છે, કેમકે દર્દીને બેઠા થવા સહિત દરેક કાર્યમાં ખુબ પીડા થતી હોય છે. સોનલબેનની પીડા તેમના સગાવ્હાલાઓ માટે પણ દયનીય બની રહી હતી.

આ બધા જોખમોને ગણતરીમાં લીધા બાદ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ અને સ્પાઇન સર્જન  ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે સોનલબેનનું જટિલ અને અતિ જોખમી ઓપરેશન કરવાનો પડકાર ઝીલ્યો. કરોડરજ્જુના ભાગે સાફસફાઇ કરી પાંજરું કાઢવામાં આવ્યું અને ફરી સ્ક્રૂ નાખીને મણકા સ્થિર કરવાનું ઓપરેશન નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

સોનલબેન પરની સર્જરી સફળ રહેતા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પરુ નીકળતું પણ બંધ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલના તબીબોની તજજ્ઞતા અને દર્દી પ્રત્યેની સમર્પિતતાના પ્રતાપે હવે સોનલબેન અને તેમના પરિવારજનો રાહત અનુભવી રહ્યાં છે અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

સમગ્ર વિગત આપતા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોના મહામારી વચ્ચે કોવિડ કામગીરીની સાથો સાથો નોન કોવિડ કામગીરી પણ અમારી હોસ્પિટલ દ્વારા સુપેરે કરવામાં આવી છે. કોરોનાકાળમાં 400 થી વધુ સ્પાઇન સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.