Western Times News

Gujarati News

નમામી દેવી નર્મદે મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશ

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે.

  • આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે.
  • એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે.
  • હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે.
  • આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે.
  • આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે.
  • મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું.
  • આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે.
  • આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે.
  • આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું.
  • કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે.
  • ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે.
  • આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું.
  • તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી.
  • પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે.
  • સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે.
  • આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે, 40 ટકા સુધી મજુર ખર્ચ ઘટ્યો છે અને વીજળીની બચત થઇ તે જુદું.
  • આજે મને ખુશી છે કે માં નર્મદાનું જળ માત્ર કચ્છ જ નહી પરંતુ ગુજરાતના એક મોટા ભાગ માટે પારસ સિદ્ધ થઇ રહ્યું છે. નર્મદાનું પાણી, માત્ર પાણી નથી. તે તો પારસ છે, જે માટીને સ્પર્શ કરતા જ તેને સોનું બનાવી દે છે.
  • નળમાંથી પાણીનો વિસ્તાર પણ વીતેલા બે દાયકાઓમાં આશરે 3 ગણો વધ્યો છે. વર્ષ 2૦૦1માં ગુજરાતના માત્ર 26 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવતું હતું. આજે આપ સૌના પ્રયાસોની અસર છે, ગુજરાતની યોજનાઓનો પ્રભાવ છે કે રાજ્યના 78 ટકા ઘરોમાં નળથી પાણી આવે છે.
  • હવે આ જ પ્રેરણાથી આપણે દેશભરમાં હર ઘર જળના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે.
  • હું ગુજરાત સરકારને, પહેલા આનંદીબેનની આગેવાનીમાં અને હવે રૂપાણીજીના નેતૃત્વમાં, દરેક ઘરને, દરેક ખેતરને જળ સાથે જોડાવાના મિશનને આગળ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન આપું છું.
  • સિંચાઈની સુવિધા મળવાથી એક અન્ય લાભ ગુજરાતના ખેડૂતોને થયો છે. પહેલા ખેડૂત પરંપરાગત પાકો જ ઉગાડતો હતો. પરંતુ સિંચાઈની સુવિધા મળ્યા પછી રોકડીયા પાકોની પેદાશ શરુ થઇ, બાગાયતી તરફનું વલણ વધ્યું. આ પરિવર્તનથી અનેક ખેડૂત પરિવારોની આવક વધી છે.
  • ગુજરાત સહીત દેશના દરેક ખેડૂત પરિવારની આવકને 2022 સુધી બમણી કરવા માટે સતત પ્રયાસ ચાલી રહ્યા છે. નવી સરકાર બન્યા પછી વીતેલા 100 દિવસોમાં આ દિશામાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. PIB Inputs

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.