Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રંગપુરના ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ સાથે ચક્કાજામ કર્યો

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ નં.૮ ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કી.મી.ના અંતરમાં ૯ જેટલા ફ્‌લાયઓવર, ૯ અંડર બ્રિજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે. શામળાજી નજીક ને.હા.નં-૮ પર આવેલા રંગપુર ગામના ગ્રામજનોએ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું.

અમદાવાદ-ઉદેપુર ને.હાઈવે પર શામળાજી નજીક આવેલા રંગપુર સ્ટેન્ડ નજીક આવેલી શાળામાં જતા બાળકો માટે આ માર્ગ હંકારતા વાહનો જોખમી નીવડી રહ્યા હોય બાળકોની સલામતીની માંગ સાથે ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને ચાર દિવસ અગાઉ આવેદનપત્ર આપી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. ગુરુવારે રંગપુર ગામના ગ્રામજનોએ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હાઈવે પર ચક્કાજામ કરતા હોબાળો મચી ગયો હતો સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામ થતા હાઈવે પર ૨ કિમી લાંબી કતારો લાગતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા હતા નેશનલ હાઈવે.નં-૮ પર ટ્રાફિકજામના પગલે તંત્ર દોડતું થયું હતું.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર,રંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીક અગાઉથી હાઈવે પસાર થઈ રહ્યો હતો પરંતુ હાલ ને.હા.નં-૮ નું ૬ માર્ગીય કરણ ચાલી રહ્યું હોવાથી શાળા પરિસરમાંથી પસાર થશે અગાઉ આ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં બે માસુમ છાત્રોએ જીવ ગુમાવવો પડ્‌યો છે બાળકોને જીવનું જોખમ ઉભું થતા અને ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં નહિ આવેતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.