Western Times News

Gujarati News

શેરી ગરબાના લીધે ડાંડિયા ઉદ્યોગની ચમક પાછી ફરી

વડોદરા, નવરાત્રિ શરૂ થવાને હવે માત્ર એક જ દિવસની વાર છે, ત્યારે દેશની ડાંડિયા રાજધાની પણ મહામારી દરમિયાન ગુમાવેલા તાલમેળને સરખો કરવાના પ્રયાસમાં લાગ્યા છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, ગોધરા એ ડાંડિયા ઉત્પાદનનું હબ છે, જેના વગર નવરાત્રિની મજા અધૂરી છે.

દશકાઓથી, લઘુમતી સમાજના કારીગરો અને ફેક્ટરી માલિકો દેશભરમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ડાંડિયા બનાવવામાં સામેલ છે. મહામારીથી સખત ફટકો સહન કરેલો આ ઉદ્યોગ નવરાત્રિની શરૂઆત સાથે ધીમે-ધીમે જીવંત થઈ રહ્યો છે. ગોધરાના કારીગરો દેશભરમાં સમયસર તેમની પ્રોડક્ટ પહોંચે તેની ખાતરી કરી રહ્યા છે. તેવું કહેવાય છે કે, દેશમાં ડાંડિયાનો ૯૦ ટકા સપ્લાય ગોધરાથી થાય છે.

સહારનપુર, જલગાંવ અને ભુજમાં પણ ડાંડિયા બનાવવામાં આવે છે, પરંતુ ઓછા પ્રમાણમાં. ડાંડિયાનું મોટાપ્રમાણમાં ઉત્પાદન કરનારા વેપારીમાંથી એક શોએબ બોડાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં સ્થિતિ સારી છે. ‘ઘણાએ સમય કરતા પહેલા ડાંડિયાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. આ એ લોકો છે જેની પાસે ગયા વર્ષનો સ્ટોક હતો.

અમે આવા સ્ટોકનો કેટલોક જથ્થો ક્લીયર કરી શક્યા છીએ કારણ કે ઘણી જગ્યાએ નાના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે’ તેમ બોડાએ જણાવ્યું હતું. જાે કે, ઉત્પાદકોને નુકસાન પણ સહન કરવું પડ્યું હતું, કારણ કે તેમના કેટલાક જથ્થાને ઊધઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ‘અમે નુકસાન થયેલા જથ્થાનો નાશ કર્યો હતો અને ઓર્ડરને પહોંચી વળવા માટે કામ શરૂ કર્યું હતું. અમે છેલ્લા પાંચ મહિનાથી ડાંડિયાનું ઉત્પાદન કરી રહ્યા છીએ.

વર્ષનો બાકીનો સમય લાકડામાંથી બનતી વસ્તુઓ જેમ કે, વેલણ બનાવવામાં કાઢીએ છીએ’, તેમ અન્ય એક એકમના માલિક અશરફ હથિલાએ જણાવ્યું હતું. કોરોનાના કારણે પ્રભાવિત થયેલા કેટલાક યુનિટના માલિકોએ જણાવ્યું હતું કે, તેમના માટે કોઈ સ્કિમ કે રાહત નથી. ‘નાના એકમોને સરકારની મદદની જરૂર છે. લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. જાે વીજળીના દરમાં અથવા અન્ય કોઈ સ્વરૂપે અમને રાહત આપવામાં આવશે તો સારું રહેશે’, તેમ શહેરના નાના ઉત્પાદક અબ્દુલરઝ્‌ઝાક હાઝિયાએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.