Western Times News

Gujarati News

ખોડલધામ ખાતે પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી “મા ખોડલ”ના પોંખણાં

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ-નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને માતાજીને અવનવા શણગાર કરાશે

નવરાત્રિમાં ખોડલધામ મંદિરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર

કાગવડ, રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા ચાલુ વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. સવારે 7-30 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાગવડ ગામે પ્રાથમિક શાળામાં શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું.

બાદમાં રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કર્યા બાદ શ્રી નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા.  મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.

પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સંભાળી હતી.

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ,

શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.