Western Times News

Gujarati News

મા ખોડલના આશીર્વાદ લઈ નવા વર્ષની શુભ શરૂઆત કરતાં શ્રદ્ધાળુઓ

દિવાળીના તહેવારમાં શ્રી ખોડલધામ મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળ્યું-દરરોજ ૧ હજારથી વધુ સ્વયંસેવકોએ ખડેપગે રહીને સેવા બજાવી

કાગવડ, રાજકોટઃ દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે દિવાળીના તહેવારમાં ભક્તો મા ખોડલના દર્શને પધારતાં હોય છે.

ખૂબ જ ટૂંકાગાળામાં દેશ-વિદેશમાં પ્રખ્યાત બની ગયેલા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે.

ત્યારે આ વર્ષે દિવાળીના પર્વમાં શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તોએ મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લઈને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

હિંદુ ધર્મમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારનું એક આગવું મહત્વ છે. દિવાળીના તહેવારમાં અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી તહેવારોની હારમાળા હોય છે અને વેકેશનના દિવસો હોવાથી લોકો ધાર્મિક સ્થળો પર ઉમટી પડતાં હોય છે. જ્યારથી શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે

ત્યારથી દરેક તહેવારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ખોડલના દર્શન માટે આવી પહોંચે છે. નવા વર્ષનો પ્રારંભ લોકો દેવી-દેવતા અને વડીલોના આશીર્વાદ લઈને કરતાં હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા ખોડલના દર્શન કર્યા હતા.

શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિનો પણ અહેસાસ કર્યો હતો. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા ખોડલના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા રમણીય બગીચા, ગજીબા, શક્તિવનમાં પરિવાર સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.

દિવાળીના તહેવાર દરમિયાન દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ શ્રી ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.