Western Times News

Gujarati News

દાહોદમાં ફટાકડાના વેચાણ-વિતરણ બાબતે જાહેરનામું બહાર પાડયું

દાહોદ :  ફટાકડાના પરવાનેદારોએ નિયત કરેલા ચોક્કસ સ્થળે જ નિયમોને આધીન ફટાકડાનું વેચાણ કરવું પડશે  દાહોદ શહેરમાં ફટાકડા વેચાણ માટે કેશવ-માધવ રંગમંચ સ્ટેશન રોડ નિયત સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યું દાહોદ શહેર દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. શહેર વિસ્તારમાં જુદા જુદા ખાતાની કચેરીઓ, શાળાઓ, કોલેજો જેવી ઇમારતો આવેલી છે.

આગામી દિવાળીના પર્વને ધ્યાને લઇ દાહોદ શહેરમાં જાહેર જનતાની સલામતી તેમજ આગ અકસ્માત જેવા બનાવોથી રક્ષણ મળી રહે તે હેતુથી ફટાકડાના પરવાનેદારોને નિયત કરેલા ચોક્કસ સ્થળે નિયમોને આધીન ફટાકડાનું વેચાણ કરવામાં આવે તેવું જરૂરી જણાતા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી દાહોદ, મામલતદાર શ્રી દાહોદ, અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટ શ્રી દાહોદ દ્વારા સયુકત મુલાકાત લઇ, દરખાસ્ત કરવામાં આવતાં દાહોદ શહેરમાં કેશવ-માધવ રંગમંચ, સ્ટેશન રોડ, દાહોદ ખાતે ફટાકડા વેચાણ માટે નિયત સ્થળ તરીકે દાહોદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે દાહોદ શહેરી વિસ્તારમાં નિયત સ્થળ સિવાય અન્ય કોઇ પણ જગ્યાએ ફટાકડાનું વેચાણ નહી કરવા સારું મનાઇ ફરમાવવામાં આવી છે. ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ-૩૩ (૧)(ઝ) અન્વયે મળેલી સત્તાની રૂએ , દાહોદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.જે.દવેએ દાહોદ શહેરી વિસ્તારમાં તા. ૨૦-૧૦-૨૦૧૯ થી તા. ૧૦-૧૧-૨૦૧૯ સુધી નિયત સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડાનું છૂટક વિતરણ/વેચાણ કરવા ઉપર નીચેની શરતોને આધિન મનાઇ ફરમાવી છે.

ફટાકડાના જથ્થાબંધ વિક્રેતાઓ અને ફટાકડાના વેચાણના કાયમી લાયસન્સધારકોએ ફટાકડાનું વિતરણ-વેચાણ તેઓના લાયસન્સમાં દર્શાવેલ સ્થળેથી જ કરવાનું રહેશે. હંગામી લાયસન્સ ધરાવતા ફટાકડાના છૂટક વિક્રેતાઓએ નિયત સ્થળ ખાતે જ વિતરણ કરવાનું રહેશે.

નિયત સ્થળે વેચાણ કરવા અત્રેથી હંગામી લાયસન્સ ફરજીયાત મેળવવાનું રહેશે. એકસ્પ્લોઝીવ રૂલ્સ ૧૯૮૩ના નિયમ નં. ૭૮  થી ૮૮ નું સખ્તાઇ પૂર્વક પાલન કરવાનું રહેશે. ૧૮ વર્ષથી નીચેના બાળકોને ફટાકડાનું વેચાણ કરી શકાશે નહી. દુકાનની આગળ કોઇ પણ પ્રકારનું શેડ કે પ્લેટફોર્મ બનાવી શકશે નહી. આ પ્રકારના સ્ટોલ પર નિયમોનુસાર આવશ્યક અગ્નિશમનની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. અગ્નિશમન માટેની જરૂરી તમામ સામ્રગી વેચાણના સ્થળે રાખવાની રહેશે.

તેમજ સલામતીના તમામ પ્રકારનાં સાધનો વેચાણના સ્થળે રાખવાના રહેશે અને સલામતીને લગતી તમામ બાબતોની અમલવારી કરવાની રહેશે તથા આ બાબતનું પાલન થયાની ખાતરી નગરપાલીકા દાહોદે કરવાની રહેશે. આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટના તા. ૧૮-૭- ૨૦૦૫ નું આ બાબતનું જજમેન્ટ ધ્યાને રાખવાનું રહેશે. જે મુજબ ફટાકડાના ઉત્પાદકે નિયત કરેલી ધ્વનિ મર્યાદા ધ્યાનમાં રાખવાની રહેશે.

નિયત સ્થળ પર જોગવાઇ ધ્યાને રાખી લે આઉટ મંજુર કરી તે અનુસાર પ્લોટ ફાળવણી નિયમોનુસાર હરાજી-ભાડા પધ્ધતિથી નગરપાલીકા દાહોદે કરવાની રહેશે અને ફાળવેલ પ્લોટની વિગત તેમની દરખાસ્તમાં સપષ્ટ કરવાની રહેશે. નગરપાલિકા દાહોદ અને પોલીસ ઈન્સ્પેકટરશ્રી, દાહોદ ટાઉને એક્સ્પ્લોઝીવ રૂલ્સ -૧૯૮૩ના નિયમ ૮૪ની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી ફટાકડા વેચાણની દુકાનો તૈયાર કરવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઇ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ એકસ્પ્લોઝીવ એક્ટ અને તેના નિયમો હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે એમ દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ.જે.દવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.