Western Times News

Gujarati News

થોમસ કપ વિજેતા ટીમ અને કોચને પ્રધાનમંત્રી નિવાસસ્થાને આવવાનું આમંત્રણ

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોમસ કપમાં ઐતિહાસિક વિજય મેળવનારી ભારતીય બેડમિંટનની ટીમને ફોન પર અભિનંદન પાઠવીને તેમની સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી ટીમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, રમતના સમીક્ષકોએ હવે આ જીતને ભારતની રમતજગતની સૌથી શ્રેષ્ઠ જીત તરીકે ગણવી પડશે. તેમણે કહ્યું હતું કે, તેમને ખાસ એ વાતની ખુશી છે કે, એકપણ રાઉન્ડમાં ભારતની ટીમનો પરાજય થયો નથી.

પ્રધાનમંત્રીએ ખેલાડીઓને પૂછ્યું હતું કે, તેમને કયા તબક્કે લાગ્યું હતું કે, તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે. કિદાંબી શ્રીકાંતે તેમને માહિતી આપી હતી કે, ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવ્યા પછી આ વિજય યાત્રા છેવટ સુધી ચાલુ રાખવાની ટીમની મક્કમતા વધુ મજબૂત બની હતી.

તેમણે પ્રધાનમંત્રીને એવું પણ કહ્યું હતું કે, ટીમના જુસ્સાએ ઘણી મદદ કરી અને દરેક ખેલાડીએ પોતાનું ૧૦૦ ટકા પરફોર્મન્સ આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બધા કોચ પણ તમામ પ્રશંસાને પાત્ર છે.

પ્રધાનમંત્રીએ લક્ષ્ય સેનને કહ્યું હતુ કે, તેમણે હવે અલમોરાની ‘બાલ મીઠાઇ’ ખવડાવવી પડશે. આ ટોચનો શટલર દેવભૂમિ ઉત્તરાખંડનો વતની છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, લક્ષ્ય ત્રીજી પેઢીનો ખેલાડી છે. લક્ષ્ય સેને માહિતી આપી હતી કે, તેના પિતા ટુર્નામેન્ટ વખતે ઉપસ્થિત હતા. તેમણે શ્રીકાંતનો પણ જુસ્સો વધાર્યો હતો અને કહ્યું હતું કે, ક્વાર્ટર ફાઇનલ પછી જીતનો વિશ્વાસ વધારે મક્કમ બન્યો હતો.

એચ.એસ. પ્રણોયે પણ એવું જણાવ્યું હતું કે, ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં જીતી ગયા પછી, તે સ્પષ્ટ થઇ ગયું હતું કે ભારતીય ટીમ કોઇપણ ટીમને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટીમના સહકારના કારણે મલેશિયા જેવી મજબૂત ટીમને હરાવવાનું શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રીએ સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પણ વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ચિરાગ શેટ્ટી સાથે મરાઠી ભાષામાં વાત કરી હતી, જેમણે તેમને માહિતી આપી હતી કે, વિશ્વ ચેમ્પિયન બનવા કરતાં ટોચનું બીજું કંઇ જ નથી, તે પણ ભારતમાંથી. “તમે બધાએ આવી મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આખી ટીમ અભિનંદનને પાત્ર છે.”

પ્રધાનમંત્રીએ તેમની સાથે વધુ વાત કરવા અને તેમના અનુભવો સાંભળવા માંગતા હોવાથી ટીમ ભારત પરત ફરે તે પછી ખેલાડીઓને તેમના કોચ સાથે પોતાના નિવાસસ્થાને આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ખેલાડીઓના માતા-પિતા માટે પણ તેમના તરફથી સાદર અને પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે બાળકોને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવું અને છેવટ સુધી તેમની સાથે રહેવું એ પણ એક પડકારજનક કામ છે. પ્રધાનમંત્રી તેમની સાથે તેમની આનંદની ઉજવણીમાં જાેડાયા હતા અને કૉલના અંતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.