Western Times News

Gujarati News

આસામમાં પુરના લીધે ટ્રેનમાં ફસાયેલા ૧૧૯ મુસાફરોને એરર્ફોસે બચાવ્યા

ગોવાહાટી, પૂર્વોત્તર રાજ્ય આસામમાં ભારે વરસાદને કારણે તબાહીનો દોર જારી રહ્યો છે. દરમિયાન રવિવારે કચર વિસ્તારમાં એક ટ્રેન પૂરમાં ફસાઈ ગઈ હતી. ભારતીય વાયુસેનાએ આ ટ્રેનમાં ફસાયેલા ૧૧૯ મુસાફરોને બચાવ્યા હતા. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદ અને પૂરના કારણે સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આસામના કચર વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. પાણી એટલું બધું હતું કે ટ્રેન આગળ કે પાછળ જઈ શકતી ન હતી. લાંબા સમય સુધી ફસાયેલા રહ્યા બાદ સ્થાનિક પ્રશાસને મદદ માટે એરફોર્સનો સંપર્ક કર્યો હતો.

ભારતીય વાયુસેનાએ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી. વાયુસેનાએ કહ્યું કે હેલિકોપ્ટરે આસામના ડિટોકચેરા રેલવે સ્ટેશનથી ૧૧૯ મુસાફરોને બહાર કાઢ્યા. દિમા હસાઓ જિલ્લામાં સ્થિત, સતત વરસાદને કારણે એક ટ્રેન રેલવે સ્ટેશન પર ૨૪ કલાકથી વધુ સમય સુધી અટવાઈ ગઈ હતી, જેના કારણે રેલની અવરજવર અશક્ય બની ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આસામના દિમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન અનુસાર, દિમા હાસોના હાફલોંગ વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.

પહાડી જિલ્લો રાજ્યના અન્ય ભાગો સાથે રેલ અને માર્ગ સંપર્કને નુકસાન થવાને કારણે ઘણી જગ્યાએ અચાનક પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે.

એએસડીએમએના નિવેદન અનુસાર, આસામના પાંચ જિલ્લામાં લગભગ ૨૫,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત છે. સૌથી વધુ અસરગ્રસ્ત કચર પ્રદેશ છે, જેમાં ૨૧,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ પછી કાર્બી આંગલોંગ વેસ્ટ લગભગ ૨,૦૦૦ પીડિતો સાથે અને ધેમાજી ૬૦૦ થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. ASDMAએ કચર, કરીમગંજ, ધેમાજી, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાઓ માટે ૭૨ કલાક માટે પૂરની ચેતવણી જારી કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.