Western Times News

Gujarati News

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ઘટના: વીજળી પડતા એકનું મોત

સુરેન્દ્રનગર, ચોમાસાની સીઝન શરૂ થવાની સાથે વીજળી પડવાની ઘટનાઓ વધી છે. વરસાદી સીઝનમાં વીજળી પડવાથી અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટે છે.
ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતા એકનું મોત નિપજ્યું છે તેમજ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે.

આ ઘટનામાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ભીખાભાઇ લાલાભાઇ ભરવાડનું વીજળી પડવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ ઘટનામાં રામાભાઇ વિહાભાઇ ભરવાડ અને મેરાજભાઇ રેવાભાઇ ભરવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

આથી બંને ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ભીખાભાઇ લાલાભાઇ ભરવાડની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.