Western Times News

Gujarati News

અગ્નિપથ યોજના હેઠળ સરકારે ઉંમર ૨૧ બદલે ૨૩ વર્ષ કરી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બે વર્ષથી કોરોનાના લીધે સેનામાં ભરતી ન થઈ શકવાના કારણે ઉમર પાર કરી ચૂકેલા યુવાઓને મોટી રાહત આપી છે. આવા યુવાઓ હવે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થઈ શકશે. વાત જાણે એમ છે કે સરકારે આ યોજના હેઠળ ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા ૨૧ વર્ષથી વધારીને ૨૩ વર્ષ કરી છે. જાે કે સરકારે આ ઉંમર મર્યાદા ફક્ત આ વર્ષ માટે જ વધારી છે.

સરકારે આ યોજના હેઠળ ભરતી માટે ઉંમર મર્યાદા સાડા સત્તર વર્ષથી લઈને ૨૧ વર્ષ સુધી નક્કી કરેલી છે. અત્રે જણાવવાનું કે છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતી થઈ રહી નહતી. આથી સરકારે સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ૨૩ વર્ષ સુધીના યુવાઓને અગ્નિપથ યોજના હેઠળ આ તક આપી છે.

સેનામાં ભરતી માટ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અગાઉ મુજબ જ રહેશે. ૧૨મું પાસ ઉમેદવાર ભરતી માટે યોગ્યતા ધરાવતો હશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટના આધારે જ ઉમેદવારોની પસંદગી થશે. જે ૪ વર્ષ માટે અગ્નિવીર તરીકે સેનામાં પોતાની સેવા આપી શકશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થવા માંગતા યુવાઓની ઉંમર ૧૭ વર્ષ ૬ મહિનાથી લઈને ૨૧ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.

યુવાઓને ટ્રેનિંગ પીરિયડ સહિત કુલ ૪ વર્ષ માટે આર્મ્સ ફોર્સિસમાં સેવાની તક મળશે. ભરતી સેનાના નિર્ધારિત નિયમો મુજબ જ થશે. સેનામાં પહેલા રિટાયરમેન્ટની ઉંમર લગભગ ૪૦ વર્ષ હતી પણ હવે નવા નિયમો મુજબ પહેલા ૪ વર્ષ માટે સૈનિકોની ભરતી કરાશે.

કહેવાય છે કે હાલ સૈનિકોને ઓછું વેતન મળે છે પરંતુ નવા નિયમો મુજબ લગભગ ૩૦ હજાર જેટલો પગાર મળશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરોને પહેલા વર્ષે ૪.૭૬ લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધીમાં પગાર ૪૦ હાજર રૂપિયા એટલે કે વાર્ષિક ૬.૯૨ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

એન્યુઅલ પેકેજ સાથે કેટલાક ભથ્થા પણ મળશે. જેમાં રિસ્ક એન્ડ હાર્ડશીપ, રાશન, ડ્રેસ અને ટ્રાવેલ અલાઉન્સ પણ સામેલ હશે. સેવા દરમિયાન ડિસેબલ થવા પર નોન સર્વિસ પીરિયડનો ફૂલ પે અને ઈન્ટ્રરેસ્ટ પણ મળશે. સેવા નીધિને આવકમાંથી છૂટ અપાશે.

અગ્નિવીર ગ્રેજ્યુઈટી અને પેન્શન સંબંધિત લાભ માટે હકદાર નહીં ગણાય. અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની અવધી માટે ૪૮ લાખ રૂપિયાનો non-contributory જીવન વીમા કવર આપવામાં આવશે. યુવાઓ માટે નવા નિયમો હેઠળ અખિલ ભારતીય સ્તર પર ભરતી કરાશે.

જાે કે નવી ભરતી હેઠળ રિટાયર થયા બાદ પેન્શન મળશે નહીં. પરંતુ સારી વાત એ છે કે યુવાઓ નોકરી દરમિયાન કોર્સ કરી શકશે. રાષ્ટ્રની સેવાની આ અવધિ દરમિયાન અગ્નિવીરોને વિભિન્ન સૈન્ય કૌશલ અને અનુભવ, અનુશાસન, શારીરિક ફિટનેસ, નેતૃત્વ ગુણ, સાહસ, અને દેશપ્રેમની ટ્રેનિંગ આપવામાં આવશે.

ચાર વર્ષના આ કાર્યકાળ બાદ અગ્નિવીરોને નાગરિક સમાજમાં સામેલ કરાશે જ્યાં તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં યોગદાન આપી શકે છે. પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલને તેના યુનિક બાયોડેટાનો ભાગ બનવા બદલ એક પ્રમાણપત્ર આપવામાં આવશે. અગ્નિવીર પોતાની યુવાઅવસ્થામાં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ પ્રોફેશનલ અને પર્સનલ રીતે પરિપકવ અને આત્મ અનુશાસિત બનશે.

અગ્નિીવીરના કાર્યકાળ બાદ નાગરિક દુનિયામાં તેમની પ્રગતિ માટે જે રસ્તા અને તકો ખુલશે તેનાથી ચોક્કસપણે રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક મોટો પ્લસ હશે. આ ઉપરાંત લગભગ ૧૧.૭૧ લાખ રૂપિયાની સેવા નીથિ અગ્નિવીરને નાણાકીય દબાણ વગર પોતાના ભવિષ્યના સપના આગળ વધારવા માટે મદદ કરશે જે સામાન્ય રીતે સમાજના આર્થિક રીતે વંચિત તબક્કાના યુવાઓ માટે હોય છે.

ગૃહ મંત્રાલયે આ યોજનામાં ૪ વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને CAPFs અને અસમ રાઈફલ્સમાં ભરતી માટે પ્રાથમિકતા આપવાનો ર્નિણય લીધો છે.

ચાર વર્ષ પૂરા થયા બાદ ભલે ૨૫ ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવે પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે દસમા કે બારમા ધોરણ પાસ કરીને અગ્નિવીર બનેલા ૭૫ ટકા યુવાઓ પાસે ચાર વર્ષ બાદ શું વિકલ્પ રહેશે? સરકાર ભલે તેમને લગભગ ૧૨ લાખ જેટલા રૂપિયા સેવા નીધિ આપશે પરંતુ તેમને બીજે નોકરી અપાવવા માટે સરકાર પાસે શું સ્કિમ છે? રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે અનેક મંત્રાલયો અને રાજ્ય સરકારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના મંત્રાલયો, કોર્પોરેશનોમાં જાે કોઈ ભરતી આવે તો તેમને તેમા પ્રાથમિકતા આપવામાં આવશે.

જલદી તેઓ આ અંગે જાહેરાત પણ કરી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તો મંગળવારે જ જાહેરાત કરી કે અગ્નિવીર યોજના હેઠળ સેનામાં કામ કરનારા જવાનોને મધ્ય પ્રદેશ પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

અસમના સીએમ હિમંત બિસ્વા સરમાએ પણ કહ્યું કે જે લોકો ચાર વર્ષ અગ્નિવીર તરીકે કામ કર્યા બાદ પાછા ફરશે તેમને અસમ આરોગ્ય નિધિ પહેલમાં પ્રાથમિકતા અપાશે.

આ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જાહેરાત કરી કે અગ્નિપથ યોજના હેઠળ સેવાના ચાર વર્ષ બાદ યુપી સરકાર પોલીસ અને અન્ય સંબંધિત સેવાઓમાં પ્રાથમિકતા આપશે. અગ્નિપથ યોજના સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

સેનામાં ભરતી થવાની યોજનાને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે, જેમાં કરાયેલા કેટલાક ફેરફારો સામે યુવાનો વિરોધ કરી રહ્યા છે.

આ યોજના સામે બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. બિહારમાં આજે પણ ટ્રેનને આગ ચાંપવાની ઘટના બની છે, આ સાથે તોડફોડ પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ બિહારમાં ટ્રેનના પાટા પર યુવાનોએ જમા થઈને અલગ-અલગ જગ્યા પર ટ્રેનમાં આગ ચાંપી હતી. બિહારમાં અગ્નિપથ સ્કીમના વિરોધનો આજે ત્રીજાે દિવસ છે.

પૂર્વ આર્મી ચીફ વીપી મલિકે અગ્નિપથ સામે ઉઠી રહેલા વિરોધને લઈને મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, “જે લોકો બસ અને ટ્રેન સળગાવી રહ્યા છે અને ગુંડગીરી કરી રહ્યા છે તેઓ સેનામાં કામ કરવા માટે યોગ્ય નથી. તેમાં સૌથી યોગ્ય લોકો હોવા જાેઈએ જેઓ દેશ માટે લડી શકે. બિહારના લખીસરાયમાં વિક્રમશીલા એક્સપ્રેસની ઘણી બોગીઓ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે.

પ્રદર્શનકારીઓએ સવારે-સવારે ટ્રેન પર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને પ્રવાસીઓને ઉતારીને ટ્રેનના બે એસી કોચને આગને હવાલે કરી દીધા હતા.

નોંધનીય છે કે બિહારમાં અગ્નિપથ સ્કીમના વિરોધનો આજે ત્રીજાે દિવસ છે. ગઈકાલે પણ પ્રદર્શનકારીઓએ ભારે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો હતો. આરામાં બનાહી સ્ટેશન પર એકઠા થયેલા લોકોએ તોડફોડ કરી છે. બનાહી સ્ટેશન ક્રોસિંગનો ગેટ લોકોએ તોડી નાખ્યો છે.

બનાહી સ્ટેશન પર લાગેલા અનાઉન્સમેન્ટ માઈકને પણ લઈને તોફાની તત્વો ભાગી ગયા છે. સ્ટેશન પર બક્સર-ફતુહા શટલ ટ્રેનમાં લોકોએ ભારે તોડફોડ કરી છે. મધ્યપ્રદેશમાં અગ્નિપથ યોજના સામે વિરોધ થઈ રહ્યો છે, ગ્વાલિયર અને ઈન્દોરમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગ્વાલિયરમાં એક ટ્રેન સામે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ઘણાં યુવાનોએ અગ્નિપથ સ્કીમનો વિરોધ કર્યો હતો, જાેકે, અહીં વિરોધ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યો હતો. જાેકે, આ શાંતિપૂર્ણ વિરોધ છતાં રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.