Western Times News

Gujarati News

નડિયાદના સલુણવાટા ગામે મિત્રએ મિત્રની કરી હત્યા

૫૦ રૂપિયાની લેતીદેતીની બાબતે કરાઇ હત્યા

નડિયાદ,નડિયાદના સલુણવાટા ગામે હથીપુરા સીમમાં બે દિવસ અગાઉ હત્યા કરેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગે જાણ થતાં સ્થાનિક પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં સંડોવાયેલ એક આરોપીને પોલીસે દબોચી લીધો છે. જેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.સનસનાટી તો ત્યારે મચી ગઈ જ્યારે આરોપીએ માત્ર ૫૦ રૂપિયા માટે જ મિત્રને પરલોક પહોંચાડ્યો હોવાનો ધડાકો થયો હતો.

નડિયાદ તાલુકાના સલુણવાટા ખાતે હથીપુરા ગામની સીમમાં ખેતરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ગ્રામજનો અને નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજુભાઈ રયજીભાઈ ગોહિલ નામનો યુવાન હથીપુરા ગામનો જ હોવાનું ખૂલ્યું હતું. મૃતક યુવાન પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો અને તેના ઘરથી ત્રણ ખેતર દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુમાં રાજુભાઈ ગોહિલને શરીરે મુઢ માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે હત્યારાઓને દબોચી લેવા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સુધી પહોંચવામાં નડિયાદ પોલીસને સફળતા સાંપડી છે. હત્યાના વારદાતને અંજામ આપનાર આરોપીને પોલીસે ઉઠાવી લીધો છે. જેની પૂછપરછમાં આરોપી અને મૃતક બંને એક બીજાના મિત્રો હોવાનું સામે આવ્યું છે. વધુમાં રૂપિયાની લેતી-દેતીએ મિત્રતાના સબંધમાં ફાંટા પાડી બે મિત્રો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી હોવાનું ખૂલ્યું છે. જેમાં ૫૦ રૂપિયા મામલે આરોપીએ તેના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપી મિત્રએ ૩૫ વર્ષીય રાજુભાઈ ગોહિલની હત્યા કરી ત્યારબાદ તેમના મૃતદેહને નાની કેનાલ પાસેના ખેતરમાં ફેંકી દીધો હોવાની કબૂલાત આપી હતી. જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.