Western Times News

Gujarati News

ખંડણી માટે બાળકનું અપહરણ કરી-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

વડોદરા, વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં છ વર્ષ પહેલાં એક ૮ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આરોપીએ આ બાળકની હત્યા કરી નાખી હતી. આરોપીએ બાળકનું અપહરણ કર્યા બાદ તેના માતા-પિતા પાસે રુપિયા દસ લાખની માંગણી પણ કરી હતી. ત્યારે આ કેસમાં કોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. આ ચકચારી કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

સાથે કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને એવી પણ ભલામણ કરી છે કે, મૃતક બાળકના માતા-પિતાને ગુજરાત વિક્ટિમ કોમ્પેનસેશન સ્કીમ અંતર્ગત દસ લાખ રુપિયાનું વળતર ચૂકવવામાં આવે. આરોપીને ફાંસીની સજા મળતા મૃતકના પરિવારને પણ જાણે ન્યાય મળ્યો હોવાનો હાશકારો અનુભવ્યો હતો. બાળકના અપહરણ અને બાદમાં હત્યાની ઘટના છ વર્ષ પહેલાં બની હતી.

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયર ખાતે રહેતા રાજેન્દ્રસિંહ રાઉલજીના ૮ વર્ષના બાળક વીરભદ્રસિંહનું અપહરણ આરોપીએ કર્યું હતું. મૃતક બાળક ધોરણ ૨માં અભ્યાસ કરતો હતો. માસૂમ બાળક અચાનક જ ગૂમ થઈ જતા તેના પરિવાર દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવાર અને સ્થાનિક પોલીસ દ્વારા આસપાસના ગામોમાં પણ માસૂમ બાળકની શોધોખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પત્તો જડ્યો નહોતો.

બાળકની શોધખોળ દરમિયાન તેના પરિવારના લોકો ચિંતિત હતા. આ દરમિયાન ગૂમ થયેલા બાળકના કાકાના દીકરા ફૂલદિપસિંહ રાઉલજીના મોબાઈલ નંબર પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, વીરભદ્રસિંહ મારા કબજામાં છે અને તેને છોડાવવો હોય તો રુપિયા ૧૦ લાખ લઈને સાવલી ખાતે આવો.

આ સિવાય રુપિયાની માંગણી કરતા ફોન પણ આવ્યા હતા. પરિવારે આ વાતની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે મોબાઈલ ટ્રેસ કર્યો હતો. જ્યારે મોબાઈલ ટ્રેસ થયો તો ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે પોલીસે જ્યારે મોબાઈલું નેટવર્ક મેળવ્યું તો તેમાં છાલીયરનું જ લોકેશન બતાવતું હતું.

લોકેશનના આધારે પોલીસે છાલીયર ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ધીરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ખુમાનસિંહ પુવાર પર શંકા ગઈ હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં આખરે આરોપી પડી ભાંગ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આરોપી ધીરેન્દ્રસિંહે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વીરભદ્રસિંહ તેના ઘરમાં જ છે. જેથી પોલીસે આરોપીના ઘરની તલાશી લીધી હતી.

ત્યારે આરોપીના ઘરના પહેલાં માળેથી પોલીસને વીરભદ્રસિંહ મળી આવ્યો હતો. એક ખોખામાં દોરડાથી બાંધેલી વીરભદ્રસિંહની લાશ પોલીસને મળી આવી હતી. વીરભદ્રસિંહની લાશ જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. લાશ મળ્યા બાદ વીરભદ્રસિંહના પરિવારે આંક્રદ કર્યું હતું. જ્યારે પોલીસે આરોપી ધીરેન્દ્રસિંહની આકરી પૂછપરછ કરી તો તેણે ખુલાસો કર્યો કે, તેણે ફટાકડા આપવાના બહાને વીરભદ્રસિંહને પોતાના ઘરે બોલાવ્યો હતો. એ પછી તે વીરભદ્રસિંહને ઘરના પહેલાં માળે લઈ ગયો હતો.

જ્યાં વીરભદ્રસિંહે બૂમાબૂમ કરી હતી. એટલે આરોપીએ તેની હત્યા કરી નાખી હતી. વીરભદ્રસિંહની હત્યા કર્યા બાદ તેની લાશને ખોખામાં સંતાડી દીધી હતી. બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એ પછી આરોપી ધીરેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે સાવલી ખાતેના સ્પેશિયલ જજ (પોક્સો) અને બીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ તથા સેશન્સ જજ જે.એ.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.