Western Times News

Gujarati News

જો બાળકને સંસ્કાર નહિ આપીએ તો લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે

“બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે”: BAPS પ્રમુખ સ્વામી

બાળ સંસ્કારના શિલ્પી BAPSના પ્રમુખસ્વામી મહારાજ

એક કાર્યક્રમ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે આયોજક સંતોને બોલવી સૂચના આપી હવેથી મારુ આસન નીચું રાખવું જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય.

“બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.” આ શબ્દો છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં. તેઓ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતા. બાળકને સંસ્કાર આપવાની રીત જાણવી જરૂરી છે.

બધાને એક અસ્ત્રાથી ન મુંડાય , જેમ ઘરનો ઓરડો સાફ કરવાની સાવરણી જુદી ને આંગણું સાફ કરવાનો સાવરણો જુદો હોય ને ઘર આગળનો રસ્તો સાફ કરવાનો સાવરણો પણ જુદો હોય… કપડાં સાફ કરવાનું બ્રશ જુદું ને દાંત સાફ કરવાનું બ્રશ જુદું. તેમ બાળકને પણ સંસ્કાર આપવાની રીત જુદી હોય તે આપણે જાણવી ઘટે.

પ્રમુખસ્વામી મહારાજની સંસ્કારસિંચન કરવાની રીત કઈક જુદી હતી. પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભાવો પૂરા કર્યા છે, તમામ મગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઇનમાં આવી રહ્યા હતા. આ દરમ્યાન એક બાળક આવ્યો પ્રમુખસ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો, ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહરાજે સાચવી રાખી એમાં લખ્યું હતું કે, આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં, તરત જ આયોજક સંતોને બોલવી સૂચના આપી હવેથી મારુ આસન નીચું રાખવું જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય.

પ્રમુખસ્વામી મહારાજ  માટે બાળક – વૃદ્ધ,  અમીર-ગરીબ, આદિવાસી- અમેરિકાવાસી બધાને એક સમાન હતા, અને તમામને એક સરખો પ્રેમ અને હુંફ આપતા.

પ્રમુખસ્વામી મહારાજ દેવગઢબારિયા બાજુ વિચરણ કરી રહ્યા હતા. એક દિવસ મલાવ ગામના શંભુ નામના બાળકે પ્રમુખસ્વામી મહારાજને તેના ઘરે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું. સાંજના સમયે દેવગઢબારિયાથી નીકળી આગળના વિચરણ માટે જવા નીકળ્યા

ત્યારે મલાવ  ગામ થઈને ગાડી ચલાવવા પ્રમુખસ્વામી મહારાજે ચાલકને કહ્યું રાતનો સમય અને રસ્તો પણ ખરાબ છતાં પ્રમુખસ્વામી મહારાજે શંભુના ઘરે પધરામણી કરી અને એક નાના સામાન્ય પરિવારના બાળકને રાજી કર્યો કારણ કે પ્રમુખસ્વામીને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા. આવી રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતાં.

પ્રમુખસ્વામી મહારાજ કહેતા , ‘તમે તમારા બાળકને સંસ્કાર આપો.’ જો આપણે સંસ્કાર નહિ આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે.

 

આજ કાર્ય આજે પ્રગટ બ્રહ્નસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. આજે અહી પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 15000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થયા તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે. અહી પ્રદર્શિત કરવામાં આવતા વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ અહી 15000 વધુ બાળકોએ માતાપિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું. ઈન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.