Western Times News

Gujarati News

એસ. જી. હાઇવેને વહેલી તકે ડસ્ટ ફ્રી બનાવવાનો સરકારનો લક્ષ્યાંક

CREDAI અમદાવાદ દ્વારા આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ-પ્લાન પાસિંગ માટે આવતા અવરોધો ઘટાડવા અને ઝડપ લાવવા સરકાર કાર્યરત

કોમર્શિયલ બાંધકામ અને તેના ભાડામાંથી પોલીસ મથકોનું મેઇન્ટેનન્સ અર્જિત કરવા ૨૫૦ જેટલા સ્થળો આઇડેન્ટિફાઈ કરાયા

CREDAIની સ્થાપનાને ૪૩ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

CREDAI, અમદાવાદની સ્થાપનાના ૪૩ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી અને પ્લાન પાસિંગ માટે આવતા અવરોધોને ઘટાડવા અને ઝડપ લાવવા માટે કામ થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ગુજરાત સુધારાત્મક પગલાં લેવામાં પણ પાછળ નથી. ધૂળમુક્ત રસ્તાઓ બનાવવા માટે પણ આયોજન થઈ રહ્યું છે. સુરતના એરપોર્ટ રોડની જેમ અમદાવાદના એસ.જી. હાઇવેથી એરપોર્ટ સુધીના રસ્તાને ડસ્ટ ફ્રી  બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.

સાથોસાથ મૂડીલક્ષી રોકાણની સાથે મેઇન્ટેનન્સ ખર્ચમાં ચોક્કસાઈ લાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરના ૨૫૦ જેટલા પોલીસ મથકોને આઇડેન્ટિફાઈ કરાયા છે. જ્યાં કોમર્શિયલ સુવિધાઓ ઊભી કરી તેના ભાડાની આવકમાંથી પોલીસ સ્ટેશનના મેઇન્ટેનન્સનો ખર્ચ અર્જિત થાય તેવું આયોજન કરવામાં આવશે. સાથોસાથ નજીકના દિવસોમાં પોલીસમથક અને બસ સ્ટેશન જેવા જાહેરસ્થળો પર પાણી બચાવવા અસરકારક અભિયાન શરૂ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સમસ્યાઓના ઉકેલ શોધવા માટે યુવાનો આગળ આવે તે જરૂરી છે. તેના માટે સરકાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહી છે. જેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, એસ.જી.હાઇવે પર અકસ્માત અને તેનાથી થતી ખુવારી ઘટાડવા માટે વિદ્યાર્થીઓ સાથે મળી એક પ્રયોગ કરવામાં આવ્યો.

રસ્તાઓ ડાર્ક સ્પોટ પર મૂકવામાં આવેલા સાઈનબોર્ડના અંતરમાં ફેરફાર કરીને ૬૦% જેટલા અકસ્માતો ઘટાડી શકાય તેમ છે. તેવું તારણ સામે આવ્યું. આ ઉપરાંત બિલ્ડિંગની બહાર નીકળતી વખતે અકસ્માતો વધુ પ્રમાણમાં થાય છે. તેને ઘટાડવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. ત્યારે બાંધકામમાં પરિવર્તન કરી અકસ્માત ઘટાડી શકાય તેમ છે. આ કાર્યમાં બિલ્ડર્સ સહકાર આપશે તેવી અપેક્ષા પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લેન્ડ કેસીસમાં પોલીસ ઓછામાં ઓછી સંકળાય અને મોટા બનાવો તથા મુશ્કેલીઓ સર્જાતી અટકે તે માટે ગૃહ વિભાગ પણ કાર્યરત છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે સરકાર કટિબદ્ધ છે. પ્રશ્નો અને સાચી જાણકારી સરકાર સુધી પહોંચાડવા તેમણે ઉપસ્થિત લોકોને અપીલ પણ કરી.

સાથોસાથ વિકાસમાં યોગદાન અને નાગરિકોને રોજગારી આપવા બદલ બિલ્ડર્સને અભિનંદન આપ્યા. આ ઉપરાંત સાઇટ્સ પર કામ કરતા મજૂરોના સંતાનોના અભ્યાસ માટે સહયોગ આપવા પણ તેમણે આહવાન પણ કર્યું હતું.

અંતે તેમણે ગુજરાતના સ્થાપના દિનના બીજા દિવસે આવતા CREDAIના સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવવાની સાથે તેમણે શ્રી શેખર પટેલને CREDAI નેશનલના ઇલેક્ટ. પ્રેસિડેન્ટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ કાર્યક્રમમાં આમંત્રિત પરંતુ સંજોગવસાત અનુપસ્થિત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અભિનંદન સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રી નરહરિભાઈ અમીને આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ ઊજવાયો, છેલ્લા બે દાયકામાં ગુજરાતનો વિકાસ થયો છે તે પ્રશંસનીય છે. આરોગ્ય, શિક્ષણ સહિતની તમામ બાબતોમાં ગુજરાત અગ્રેસર બની ગયું છે.

દુબઈ અને અમેરિકા જેવા દેશોમાંથી દર્દીઓ સારવાર માટે ગુજરાત આવે એ આપણા સૌ માટે આનંદની વાત છે. CREDAI વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ૪૩ વર્ષ પહેલા વાવવામાં આવેલું બીજ આજે વટવૃક્ષ બની ગઈ છે. યુવા ઉદ્યોગ સાહસિકો સમયાંતરે વિદેશની મુલાકાત લઈને આપણા અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે રચનાત્મક સુધારા કરી રહ્યા છે. જે આનંદની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે CREDAI અમદાવાદના ચેરમેન શ્રી તેજસભાઈ શાહે સ્વાગત સંબોધન કર્યું હતું. જ્યારે GIHED અને CREDAIના માધ્યમથી ગુજરાતને ભારત અને વિશ્વમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નંબર વન  બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું તેવી પ્રતિબદ્ધતા શ્રી શેખર પટેલે વ્યક્ત કરતા ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.

CREDAIની સ્થાપનાને ૪૩ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજના અવસરે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષય શાહ, CREDAI અને GIHEDની કોર કમિટીના સભ્યો, હોદ્દેદારો, પ્રતિષ્ઠિત બિલ્ડર્સ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.