Western Times News

Gujarati News

વેપારના વિકાસથી અરુણાચલ -ગુજરાત આગળ વધીને ‘‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’’ સાકાર કરશેઃ- પેમા ખાંડુ

દેશના નાના રાજ્યો-વિકસી રહેલા પ્રદેશોને પણ મોટા રાજ્યોને સમકક્ષ વિકાસ માટે એકજૂટ કરીને વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી નવી દિશા આપી છે:-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુના નેતૃત્વમાં અરુણાચલના કોમ્યુનિટી બેઈઝ્ડ ઓર્ગનાઈઝેશનના સભ્યોનો ગુજરાત પ્રવાસ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશના નાના રાજ્યો, વિકસી રહેલા પ્રેદેશોને પણ મોટા રાજ્યો સમકક્ષ
વિકાસ માટે એકજૂટ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી નવી દિશા આપી છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વિકાસની રાજનીતિ અને સૌને સાથે લઈને ચાલવાના વડાપ્રધાનશ્રીના આ ઉદ્દેશ્યને
એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસિસ, શ્રેષ્ઠત્તમ બાબતોના આદાન-પ્રદાનથી દેશના રાજ્યો પાર પાડી રહ્યા છે.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસ-મુલાકાતે આવેલા કોમ્યુનિટી બેઇઝ્ડ
ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળ સાથેના સંવાદ-વાર્તાલાપમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

અરૂણાચલ પ્રદેશનું આ ડેલિગેશન આદિજાતિ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધા વિકાસ, પ્રૂડન્ટ
ફાયનાન્સીયલ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રે ગુજરાતે વિકાસના જે માનદંડોમાં અગ્રેસરતા મેળવેલી છે તેના નિરીક્ષણ-અભ્યાસ
માટે ગુજરાતના પ્રવાસે આવેલું છે.

અરૂણાચાલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુ તથા આરોગ્ય મંત્રીશ્રી એલો લિબાંગના નેતૃત્વમાં આ ડેલિગેશનમાં
કોમ્યુનીટી બેઇઝ્ડ ઓર્ગેનાઇઝેશન અરૂણાચલ પ્રદેશ ઇન્ડીજીનીયસ ટ્રાઇબ્સ ફોરમના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત પ્રવાસ દરમ્યાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને નર્મદા જિલ્લામાં આદિજાતિઓના આર્થિક ઉત્કર્ષ
માટેની વિવિધ પ્રવૃત્તિઓ પણ નિહાળી હતી.

આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાતની પોતાની મુલાકાત-પ્રવાસના અનુભવો શેર કરતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઇની વતનભૂમિ ગુજરાતે દેશ અને દુનિયામાં વિકાસના રોલ મોડલ તરીકે જે ખ્યાતિ મેળવી છે તે પ્રત્યક્ષ નિહાળવાની
તેમને મળેલી આ સુવર્ણ તક છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ડેલિગેશન સાથેના સંવાદમાં ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ વંચિત પ્રદેશોને વિકાસની ધારામાં
લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. આજે રોડ-રસ્તાની કનેક્ટિવીટી, આરોગ્ય સેવાઓ સરળતાએ ઉપલબ્ધ થયા છે. તેમણે
ગુજરાત સાથે અરૂણાચલના સાંસ્કૃતિક અનુબંધનને ઊજાગર કરતા માધવપૂરના મેળાનો પણ આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ જે પંચ સંકલ્પ આપેલા છે તેમાં વિકાસમાં સહભાગીતા, ગુલામીની માનસિકતા ત્યજવા, વિરાસત પર
ગૌરવ કરવા, એકતા સાથે વિકાસ માર્ગે આગળ વધવા અને દરેક નાગરિકમાં દેશ માટે ફરજ-ડ્યૂટીનો સ્વયં ભાવ ઊજાગર કરવા જેવા સંકલ્પોને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ તેવું મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યુ હતું.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહયોગની જે ભાવના દેશના
રાજ્યોમાં વિકસાવી છે તેમાં ગુજરાત-અરૂણાચલ પ્રદેશનો પરસ્પર સહયોગ નવું બળ પુરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

શ્રી પેમા ખાંડુએ અરૂણાચલ પ્રદેશના પ્રવાસન વિકાસ, વેપાર-વાણિજ્ય વિકાસની આગવી સોચ સાથે ગુજરાત જેવા
વિકાસના રોલ-મોડેલ રાજ્યના અનુભવ અને શ્રેષ્ઠતાનો લાભ તેમના રાજ્યને પણ મળે તે માટે અનુરોધ કર્યો હતો.
અરૂણાચલ પ્રદેશ અને ગુજરાત આવા સંયોજનથી વડાપ્રધાનશ્રીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારને પાર પાડવામાં
મહત્વની ભૂમિકા નિભાવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વાર્તાલાપ-સંવાદના પ્રારંભમાં મુખ્ય સચિવશ્રી રાજકુમારે અરૂણાચલ પ્રદેશના ડેલિગેશનને આવકારીને પ્રવાસ-
મુલાકાતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જે. પી. ગુપ્તાએ ગુજરાતના પ્રૂડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ અને બહુવિધ વિકાસ માટે નાણાં આયોજનની છણાવટ કરતું પ્રેઝન્ટેશન કર્યુ હતું.

અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિમંડળ વતી કોમ્યુનિટી બેઇઝ્ડ ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ સભ્યોએ પોતાના પ્રતિભાવો
વ્યકત કર્યા હતા. આ વાર્તાલાપ-સંવાદ બેઠકમાં રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, પ્રવાસન સચિવ શ્રી હારિત શુકલા તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.