Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પ્રેરણાનો છોડ મીઠું ફળ આપે તેવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ

લુણાવાડાઃ  રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા આદિજાતી ખેડૂતો માટે રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે આ પ્રેરણાનો છોડ મીઠું ફળ આપે તેવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતી કરી પુરુ પાડ્યુ છે. છેલ્લા બાર વર્ષથી  ધરતીને રસાયણિક પેદાશોથી દૂર રાખી ધરતીને કુદરતી રીતે લીલીછમ  રાખી પ્રાકૃતિક ખેતી માટે  પથદર્શક બન્યા છે.

કુદરતને ખોળે વસતા ઉંડાણ  અને અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગોધર (ઉત્તર) ગામનાં ખંતીલા અને પ્રગતિશીલ આદિજાતિ  ખેડૂત પર્વતભાઇ  સાયબાભાઇ ડામોરે સરકારના  કૃષિરથમાંથી પ્રેરણા મેળવી ડુંગરોની વચ્ચે આવેલ તેમની જમીનમાં સજીવ ખેતી અને આધુનિક ખેતીના સાધનોનાં સહારે  અને  સરકારની  વિવિધ ખેતી વિષયક યોજનાઓનાં લાભ લઇ ખેતીમાં કમાલ કરી  દેખાડી છે.

મહીસાગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા આદિજાતિ ખેડૂતો માટે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર ખાતે રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડાણા તાલુકાના ગોધર ઉત્તરના પર્વતભાઇ પણ જોડાયા હતા. મહાબળેશ્વરમાં શીતકટિબંધની જેમ આખા વર્ષ દરમ્યાન ઉષ્ણતામાન ખુશનુમા રહેતું હોવાથી સ્ટ્રોબેરીની સારી ખેતી થાય છે. આ ખેતી જોઇ તેમણે શિયાળા દરમ્યાન કડાણા તાલુકાના ઉંચાણવાળા પર્વતીય વનઆચ્છાદિત વાતાવરણમાં સ્ટ્રોબેરીની ખેતીને સફળતા મળે તેવું જણાઇ આવ્યું

તેથી મહાબળેશ્વરમાં આ ખેતી અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમજ  મહીસાગર બાગાયત વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન મેળવી અધિકારીશ્રીઓ દ્વારા મળેલી માહિતી મુજબ સ્ટ્રોબેરીના રોપા મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા જેમાં ઉત્તરપ્રદેશના મેરઠની નર્સરીમાંથી વીન્ટર ડાઉન સ્ટ્રોબેરીની જાતના વીસ હજાર રોપા રૂા.૪ પ્રતિ નંગના ભાવે વિમાન માર્ગે મેળવ્યા અને તેમણે ૧૦ હજાર રોપા પોતાના ખેતરમાં વાવ્યા ઉપરાંત  તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અન્ય ખેડૂતને પણ દસ હજાર રોપાઓનું વાવેતર કરાવ્યું  આમ જિલ્લામાં પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતીના રોપા રોપી નવતર ખેતીનું બીજ વાવ્યું છે.

પ્રગતિશીલ ખેડુત શ્રી પર્વતભાઇએ  સરકારની સહાય મેળવી આધુનીક ખેતીવાડીનાં  યંત્રો વસાવ્યા છે. જેમાં રોટરી ટ્રીલર, ઇલેકટ્રીક મોટર, મીની ટ્રેક્ટર,  હેન્ડ ટુલ્સ કીટ, નિંદામણ નાશકયંત્ર,  બ્રશ કટર, ઘાસ કાપવાનું રીપર મશીન જેવા સાધનો પણ ધરાવે છે. પાકનાં અવશેષોને સડવવાની પધ્ધતિ, દેશી ખાતરની પધ્ધતિ,  નાડેફ પધ્ધતિ, અળસિયાનું વર્મી કમ્પોસ્ટ વગેરે ઉપલબ્ધ છે તેનો ઉપયોગ ખુબ સારી રીતે કરી પર્વતભાઈ પોતાની ખેતીમાં સેન્દ્રીય ખાતરનો  ઉપયોગથી જ ખેતી કરતા હોવાથી પાકને જરૂરી બધાજ પોષક તત્વો સપ્રમાણમાં મળી રહે છે. રસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ  નથી કરતા તેથી જમીનની ગુણવત્તા પણ સારી જળવાઇ રહે છે.  વળી પાક ઉત્પાદન  ખર્ચ એકદમ ઘટી જાય છે. તેથી ખેતીમાં સારૂં વળતર મળે છે.

સજીવ  ખેતીના  હિમાયતી તેમણે હંમેશા રાસાયણિક  ખાતર  કે જંતુનાશક દવાનો  છંટકાવ  કરવાનાં બદલે વનસ્પતિ જન્ય પોતે બનાવેલી જીવામૃત  દવાનો  ઉપયોગ  કરે છે. તેઓ ફળાઉ વૃક્ષોની પણ સજીવ ખેતી કરે છે. તેમણે તેમની જમીનમાં આંબાઓ તેમજ લીંબુની પણ સજીવ ખેતી તેમણે કરી છે.  તેમણે આત્મા પ્રોજેક્ટના સહયોગથી બહરી જાતની ખારેકનાં રોપાઓ આણંદ કૃષિ યુનીવર્સિટી ખાતેથી લાવી ખારેકની ખેતી પણ કરી છે. તેમણે બધી જ જમીનમાં સરકારની ૭૫% સહાયથી ડ્રીપ ઇરીગેશનથી પાણી  તેમની પાક અને ફળાઉ વૃક્ષોને આપે છે.

હાલમાં તેમની સ્ટ્રોબેરીની નવતર ખેતીને એક માસ બાદ પ્રારંભિક સફળતા મળતી હોય તેવુ જણાઇ રહ્યું છે તેથી તેઓ ખૂબ ઉત્સાહિત છે. બાગાયત વિભાગ દ્વારા પણ તેમને સહાય પણ મળનાર છે. તેમણે પદ્મશ્રી સુભાષ પાલેકરની વડતાલ ખાતેની શિબીરમાં ભાગ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓ અગાઉ સજીવ ખેતી કરતા હોવાથી તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં મુશ્કેલી નડશે નહીં સ્ટ્રોબેરીની ખેતીમાં પણ પ્રાકૃતિક ખેત પધ્ધતીનો પ્રયોગ કર્યો હોવાનું પર્વતભાઇએ જણાવ્યું હતું.

આ ઉપરાંત  તેઓ ખેતીવાડી વ્યવસાય સાથે તેમણે પશુપાલન વ્યવસાય, બકરાપાલન અને મરઘા પાલન વ્યવસાય પણ છે.

તેઓ આ વિસ્તારનાં ખેડૂતો સજીવ ખેતી અને પશુપાલન વ્યવસાય તરફ વળે તે માટે સતત ખેડૂતોના સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે. મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પર્વતભાઈને બેસ્ટ ફાર્મરનાં એવોર્ડ ઉપરાંત આમળાની ખેતીમાં કૃષિના ઋષિ એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવેલ છે. ઓર્ગેનિક ખેતીમાં પ્રેરણાદાયક કામ કરીને મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.