Western Times News

Gujarati News

૬ મહાનગરપાલિકા અને ૭ નગરપાલિકાઓ માટે રૂપિયા ૧૮૮૮ કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી: CM

રાજકોટ મહાનગરમાં પાંચ ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની  સૈદ્ધાંતિક મંજૂરી આપતા વિજયભાઈ રૂપાણી

રાજકોટમાં વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે સમય અને ઇંધણની બચત થશે-ડીસા-પાલનપુરમાં એક-એક ફલાય ઓવરબ્રીજ બનશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં જનસુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ અપનાવતાં ૬ મહાપાલિકા અને ૭ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ.૧૮૮૭.૭૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નગરો-મહાનગરોમાં ફલાયઓવર બ્રિજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમજ આગવી ઓળખના કામો, રેલ્વે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજકોટ મહાનગરમાં પાંચ ફલાયઓવર બ્રિજના નિર્માણ માટે રૂ.૨૩૦ કરોડના કામો મંજૂર કર્યા છે.

તદ્દઅનુસાર, રાજકોટમાં ૧પ૦ ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી ઓવરબ્રીજ, ૧પ૦ ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી ઓવરબ્રિજ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાયઓવર તેમજ ગ્રીન લેન્ડ ચોકડી ઓવરબ્રિજ અને ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉમિયા ચોક પાસે ફલાયઓવર બ્રિજનું નિર્માણ થશે.

રાજકોટમાં આ ફ્લાયઓવર બ્રિજને પરિણામે સ્માર્ટ સિટી રાજકોટમાં માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે અને નાગરિકોના સમય તથા ઇંધણની પણ બચત થશે. મુખ્યમંત્રીશ્રીએ ડીસા નગરમાં ૧ ફલાયઓવર માટે રૂ.પ૦ કરોડ તથા પાલનપુરમાં પણ એક ફલાયઓવર માટે રૂ.ર૮ કરોડના કામોની મંજૂરી આપી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ-શહેરી સુખાકારીના સર્વગ્રાહી અભિગમથી જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ.પ૯૯.૨૦ કરોડ, સુરતમાં રૂ.૪૭૯.૮૩ કરોડ તેમજ વડોદરામાં રૂ.૧૭૯.ર૮ કરોડ અને રાજકોટમાં રૂ.૧૪૪.પ૪ કરોડ તથા જામનગર મહાપાલિકાને રૂ.૬પ.પ૦ કરોડનો સમાવેશ થાય છે.

આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, એમ.આર.આઇ મશીન વગેરેની ખરીદી, અર્બન હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટિલેવલ પાર્કીંગ, શાક માર્કેટ અને સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરમાં રસ્તાના કામો માટે રૂ.૩પ કરોડ, રાજકોટમાં રૂ.રપ કરોડ, જામનગરમાં રૂ.પ.૦૮ કરોડ અને જુનાગઢ મહાનગરમાં રૂ.૬ કરોડ એમ કુલ રૂ.૭૧.૦૮ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

 તેમણે રાજકોટ મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ.રપ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે રૂ.૩ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિદ્ધપુર નગરપાલિકાને રૂ.૭પ લાખ, કડી નગરપાલિકાને રૂ.ર૧ લાખ અને ગોધરા નગરપાલિકાને રૂ.૪૮ લાખ મળી કુલ રૂ.૧.૪૪ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

તેમણે તળાજા નગરપાલિકાની કચેરીના નવા મકાન માટે રૂ.૧ કરોડ તથા ગોધરા નગરપાલિકાને રેલ્વે અંડરબ્રિજ માટે રૂ.૯ કરોડ, ૮૬ લાખ ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.  મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાયઓવર બ્રિજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

હવે રાજકોટ મહાનગરમાં પાંચ નવા ફલાયઓવર બ્રિજ અને ડીસા તથા પાલનપુર એક-એક ફલાયઓવર બ્રિજ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફિક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.