Western Times News

Gujarati News

નિકોલ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો

મુખ્યમંત્રી અમદાવાદના નિકોલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમુહ લગ્નોત્સવમાં હાજરી આપી -લક્ષ્મીનો સદુપયોગ કરી સમાજનુ ઉત્થાન કરવા મુખ્યમંત્રીશ્રીની અપીલ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, લક્ષ્મીનો સદુપયોગ કરી સમાજનુ ઉત્થાન કરવુ જોઈએ.
અમદાવાદના નિકોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમૂહ લગ્ન ઉત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સમૂહ લગ્ન એ એક ઉત્તમ વિચાર છે અને આ વિચારના કારણે પિતાની દીકરી પરણાવવાની ચિંતા સમાજની ચિંતા બને છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ઉદબોધનમા કહ્યું કે, સમૂહ લગ્નથી ખર્ચ ઓછો થાય છે અને તેમાંથી થતી બચતનો ઉપયોગ ભાવિ પેઢીના શિક્ષણ માટે થવો જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે લોકોને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાજિક કાર્યોમાં હંમેશા ઉદારતાપૂર્વક સહયોગ આપતી રહી છે અને આપતી રહેશે. મુખ્યમંત્રીશ્રીએ સમુહ લગ્નોત્સવમાં ભાગ લેનારા નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સમૂહ લગ્નોત્સવમાં એકત્રિત થયેલા ફાળાની રકમમાંથી બનનારા ભવ્ય કન્યા છાત્રાલયના વિચારને પણ વધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમય સાથે સમાજમા પરિવર્તન જરૂરી છે. તેમણે કહ્યું કે, સમૂહ લગ્ન એ એક સત્કાર્ય છે પણ છેલ્લા કેટલાક સમયથી સત્કાર્યમાં કાર્યની ગતિ ધીમી થઇ છે, જેને ફરી વેગવાન બનાવવાની જરૂર છે. આ શુભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની અંજલીબહેન પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રી અને પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.