Western Times News

Gujarati News

મહીસાગર તીર્થધામ દેગમડા મહંત અરવિંદગીરી મહારાજે જનતા કરફ્યુનો અમલ કરવા અપીલ કરી

લુણાવાડા: મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે આવેલું મહીસાગર તીર્થધામ લાખો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. લોકો મહીસાગર નદી તટે આવેલા આ સ્થળે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. મહીસાગર માતાજીની આરાધનાની સાથો સાથે માતાજીના ભકતોના સ્વાસ્થ્ય તેમજ સલામતી પણ ખુબ જ અગત્યની છે.

સરકાર પણ નાગરીકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત છે. હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે ત્યારે તકેદારીના ભાગરૂપે દર્શનાર્થે આવતા માતાજીના ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં લેવા સરકારની એડવાઈઝરીને ગંભીરતાપૂર્વક લઈને મહીસાગર માતાજી સહિત મંદિર સમૂહ ભાવિક ભકતો માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને મહીસાગર તીર્થધામના મહંત અરવિંદગીરી મહારાજે પ્રાર્થના કરતા જણાવ્યું છે કે, આ સમય દરમ્યાન ભકતોએ પોતાના સ્વગૃહે આરાધના કરવી.

હાલના સંજોગોમાં કોરોના વાઇરસ અંગે રસી ઉપલબ્ધ નથી ત્યારે સ્વયં અનુશાસનથી તેને અટકાવી શકીએ છીએ. જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ, મોં અને નાકને સ્પર્શ કરવો, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, એકબીજાને હાથ મિલાવી અભિવાદન ન કરતાં બે હાથ જોડી નમસ્તેથી આદર કરવો, એકબીજાથી એક મીટર દૂર રહેવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું, ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, રોગથી ભય ન પામતા જાગૃતિ રાખવી તે સલામતી માટે ઉત્તમ છે. રોગના લક્ષણ જણાય તો નજીકના સરકારી દવાખાને તાત્કાલિક સારવાર લેવી તેમજ  સરકાર દ્વારા આપવામાં આવતા આરોગ્યલક્ષી નિર્દેશોનું પાલન કરી પ્રધાનમંત્રીના જનતા કરફ્યુનો અમલ કરી પોતાના ઘરે રહેવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.