Western Times News

Gujarati News

કોરોના સામેની લડતમાં ગુજરાત સરકારના પ્રયાસોને  બિરદાવતા ડોક્ટર રણદીપ ગુલેરીયા

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગુજરાતે પ્રભાવી પ્રયાસો કર્યા છે : ટૂંક જ સમયમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલનું ઉભુ કરાયેલું માળખું અત્યંત સરાહનીય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતને પગલે એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અધિક મુખ્ય સચિવ શ્રી અને સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભે થતી કામગીરી પર દેખરેખ રાખવા ખાસ નિમાયેલા શ્રી પંકજકુમારે આ બન્ને વરિષ્ઠ તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોરોનાની સારવાર લેતા દર્દીઓ ઝડપથી સાજા થાય, દર્દીઓને અપાતી સારવાર પદ્ધતિ, આ વરિષ્ઠ તબીબોની આ રોગ સંદર્ભે તેમના અનુભવો – જાણકારી વગેરે અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી.

આ મુલાકાત બાદ Aiims ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે. રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુ દર ઘટાડવા સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. સાથે સાથે અહીંના તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે ખુબ સરસ રીતે દર્દીઓની સેવા સારવાર કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ અને સમગ્ર માળખું તૈયાર કરવા બદલ રાજ્યના આરોગ્ય તંત્ર ની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે જે કંઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ અદ્યતન છે જે દેશ માટે ગૌરવની વાત છે.

તેમણે રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ને પણ મળીને સઘળી વિગતો જાણી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. કોવિડ – 19 ના લક્ષણો જણાતા તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જોઈએ. મોટી ઉંમરના વ્યક્તિઓ અને comorbid લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયાના વધુ દિવસો બાદ જ્યારે દાખલ થાય છે ત્યારે તેઓને તકલીફ વધી જાય છે એ પણ એટલું જ સત્ય છે.

ઉપરાંત એસિમ્ટોમેટીક દર્દીઓ માં પણ વાયરસ તેનો પ્રભાવ બરકરાર રાખે છે અને વ્યક્તિના શરીરમાં ઓક્સિજનો ઘટાડો થતો હોય છે, જેનો દર્દીને ઘણી વાર ખ્યાલ રહેતો નથી. તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, લોકડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું… આ પ્રસંગે આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, ઓ. એસડી તરીકે નિમાયેલા ડોક્ટર પ્રભાકર, અન્ય નિષ્ણાત તબીબો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.