Western Times News

Gujarati News

પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભામાં ચૂંટાયા

અમદાવાદ:  રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણી આજે અમરાવતીમાં આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું.

તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ 90 ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે. અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.”

શ્રી નથવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા 12 વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ.”

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા શ્રી પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી અને તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 100 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.

શ્રી નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત દેશના પશ્ચિમી રાજ્યોમાં રિલાયન્સ પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ, રિટેલ વ્યવસાય, ગેસ પરિવહન પાઇપલાઇન અને જિયો મોબાઇલ નેટવર્ક સહિતના માળખાકિય પ્રોજેક્ટના અમલીકરણમાં પણ અહમ ભૂમિકા ભજવી હતી.

થોડા દિવસ અગાઉ જાહેર કરવામાં આવેલા સામાજિક-આર્થિક સરવે 2019-20 અનુસાર, આંધ્રપ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ (સકલ રાજ્ય ઘરેલુ ઉત્પાદ – જી.એસ.ડી.પી.) રૂ. 9,72,782 કરોડ થયું હતું જે નાણાંકીય વર્ષ 2018-19ના રૂ.8,62,957 કરોડની સરખામણીએ 12.73 ટકાની વૃધ્ધિ દર્શાવે છે. આંધ્રપ્રદેશનો જી.એસ.ડી.પી. ગ્રોથ 2019-20માં 8.16 ટકા રહ્યો હતો.

શ્રી નથવાણીએ ઉમેર્યું હતું કે, “મુખ્યમંત્રી શ્રી જગન મોહન રેડ્ડીને તેમના પિતા શ્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ અડચણોને પાર કરી હતી. લોક નેતૃત્વ માટે તેમણે પ્રચંડ સામર્થ્ય દર્શાવ્યું છે. તેઓ માત્ર આંધ્રપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર, ખાસ કરીને દક્ષિણ ભારતના લોકોને નેતૃત્વ પુરું પાડવા સક્ષમ છે. શ્રી જગન મોહન રેડ્ડી સાથે સરખામણી થઈ શકે અથવા તેમને સ્પર્ધા આપી શકે તેવા બીજા કોઇ યુવાન નેતા હાલમાં દેખાતા ન હોવાને કારણે એવું ચોક્કસ કહી શકાય કે તેઓ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજકારણમાં લાંબા સમય સુધી મોટા પરિબળ તરીકે રહેશે. તેમના નેતૃત્વમાં તેમની અને તેમની પાર્ટી સાથે મળીને આંધ્રપ્રદેશની સેવા કરવી મારા માટે અહોભાગ્ય છે.”

શ્રી પરિમલ નથવાણીને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા અને એક વખત તો જામ ખંભાળિયામાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વૉઇસ ઓફ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા.

થોડા સમય પહેલાં સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા શ્રી પરિમલ નથવાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું.

શ્રી નથવાણી લગભગ 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે રિલાયન્સ વતીથી ગુજરાત સરકારની સાથે મળીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં સહભાગી બન્યા હતા અને વેગ આપ્યો હતો. શ્રી નથવાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે નવ વર્ષ કરતાં વધારે સમયથી સેવા આપે છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ના પ્રમુખ તરીકે શ્રી નથવાણી સન્ 2019ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં ચૂંટાતા ગુજરાતમાં ફૂટબોલને ઘણો જ વેગ મળ્યો.

ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) આ બે પુસ્તકો શ્રી નથવાણીની ક્ષમતાઓના પુરાવા છે. ઝારખંડમાં તેમણે આપેલા પ્રદાન અંગેનું વધુ એક પુસ્તક એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, રાંચી દ્વારા ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.