પૂર્વ-પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં ચિકનગુનિયાએ માથુ ઉંચક્યુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદ અને જલ ભરાવને કારણે પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારોમાં સાબરમતી નદીના કાંઠાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં હાથપગ અને સાંધાના દુઃખાવાની ફરીયાદો ઉઠવા પામી છે. પૂર્વ-પશ્ચિમની સોસાયટીઓ માં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.
તેમાં પણ ચિકનગુનિયાનો વાયરસ ધરાવતા મચ્છર કરડતા લોકોએ હાથપગ અને સાંધાના દુઃખાવાની ફરીયાદો શરૂ કરી છે. નદી કિનારાના પાલડી, વાસણા વિસ્તારની સોસાયટી ઓ, એલિસબ્રિજ વિધાન સભા મત વિસ્તારમાં છેવાડા સુધીની સોસાયટી-ચાલીઓમાં પણ મચ્છરોનો ઉપદ્રવ અને ચિકનગુનિયાની બુમો લોકો પાડી રહયા છે.
તો નદી પારના વિસ્તારની જૈન સમાજની એક સોસાયટીમાં અંદાજે ૧૦ થી૧પ જણાને ચિકનગુનિયા થયાની ફરીયાદ ઉઠવા પામી છે. આ સિવાય છેક ગુપ્તાનગર, જુહાપુરા અને ગ્યાસપુર ભાઠા વિસ્તારમાં પણ ચિકનગુનિયા ફેલાયો હોવાનુ કહેવાય છે. તો પુર્વકાંઠાની ચદ્રનગરની સામે ખોડીયારનગરની વસ્તીમાં મચ્છરજન્ય રોગચાળો ઘર કરી ગયાની ફરીયાદ સ્થાનિક કોર્પોરેટરે કરી છે.