અરૂણાચલમાં સરહદ ઉપર સૈનિકોની સંખ્યા વધારાઈ
ગુવાહાટી: ચીનની સાથે વધતા વિવાદની વચ્ચે ભારત હવે પોતાની પૂર્વ સરહદ પર સુરક્ષા દળોની સંખ્યા વધારી રહ્યું છે. ૧૫ જૂને ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે લદાખમાં અનેક દશકોનું સૌથી મોટું હિંસક થયું હતું. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ભારતે સરહદોની સંપ્રભુતા માટે કડક વલણ અપનાવ્યું છે અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં સુરક્ષા દળોની સંખ્યા વધારવાને ધ્યાને લેતાં એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદ હજુ લાંબો ચાલી શકે છે.
રિપોર્ટ મુજબ અરૂણાચલ પ્રદેશના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી છે પરંતુ ચીન તરફથી સરહદ અતિક્રમણના પ્રયાસના હજુ કોઈ અહેવાલ નથી. તેઓએ કહ્યું કે, ગલવાન ઘાટીની ઘટના બાદથી જ ભારત તરફથી તકેદારીના ભાગ રૂપે સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અરૂણાચલ પ્રદેશ ૧૯૬૨માં થયેલા ભારત-ચીન યુદ્ધનું મુખ્ય કેન્દ્ર હતું. એક્સપર્ટ્સે ફરી એક વાર ચેતવ્યા છે કે અહીં ચીન તરફથી ફરી અતિક્રમણના પ્રયાસ કરવામાં આવી શકે છે. જોકે સૈનિકોની સંખ્યા વધારવાને લઈ સેનાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે આવું રેગ્યૂલર એક્સસાઇઝ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સરહદ વિવાદને લઈ શાંતિ સ્થાપના માટે દૃઢ છે. મંત્રાલય તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ૨૯/૩૦ ઓગસ્ટની રાત્રે લદાખના પેન્ગોગ લેક વિસ્તારમાં ચીની સેના દ્વારા ઉશ્કેરીજનક પ્રયાસ કરવામાં આવ્યો જેનો ભારતીય સૈનિકોએ જવાબ આપ્યો. ભારતે કહ્યું છે કે ચીન સરહદ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.