ભરૂચની સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા
સરકારી કામકાજ માટે મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો- દુકાનદારો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો ગુનો દાખલ થાય અને સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થાય તો શું?
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કોરોનાની મહામારીના પગલે ભરૂચમાં તેનું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.તેમ છતાં લોકો માં સાવચેતી જોવા મળતી નથી તો સરકારી કચેરીઓમાં સરકારના જ અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ તથા ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાનું પાલન કરાવવામાં ઉણા ઉતર્યા છે.જેના કારણે ભરૂચ જીલ્લામાં કોરોના વધુ વકરી રહ્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં રોજેરોજ ૨૦ થી ૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને કોરોનાને ડામવા માટે તંત્ર પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે.ત્યારે સરકારે સરકારી કચેરીઓ કેટલાક નીતિ નિયમો મુજબ શરૂ કરી છે.
જેમાં અરજદારોએ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરી પોતાના કામકાજ કરાવી શકશે.પરંતુ અરજદારોને કાયદાનું પાલન કરાવવામાં સરકારી અધિકારીઓ ઉણા ઉતર્યા છે.
ત્યારે ભરૂચની મામલતદાર કચેરીમાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારોની પડાપડી થઈ રહી છે.જેના કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી અને કેટલાક લોકો માસ્ક પણ પહેર્યા વિનાના જ જોવા મળી રહ્યા છે.આ દરમ્યાન જો કોઈ એક વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય અને તે અન્ય કોઈને ચેપ લગાડેતો કેટલાક લોકો તેનાથી સંક્રમિત થતા હશે તેવી દહેશત વર્તાઈ રહી છે.ત્યારે પોલીસ પણ એક તરફ દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય જેના પગલે દુકાનદાર સામે ગુનો નોંધતી હોય છે.ત્યારે સરકારી કચેરીઓમાં જ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.ત્યારે ગુનો કોની સામે ગુનો નોંધવો તે એક પ્રશ્ન છે.ત્યારે સરકારી કચેરીઓ માં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે.જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.