ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાગ્રસ્ત
જ્યારથી સી.આર.પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે.તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે સાચી પડવા લાગી છે.
પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ,મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે, ત્યારે ગઈકાલે(8 સપ્ટેમ્બર) સી.આર. પાટીલ નબળાઈ જણાતા એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. જો કે આમ છતાં તેમનો RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 21 અને 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. સી.આર.પાટીલના આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. જે હવે સાચો પડી રહ્યો છે. પાટીલના આ પ્રવાસમાં સામેલ થયેલા અનેક નેતાઓ સંક્રમિત થવા લાગ્યા છે. જેમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે.