Western Times News

Gujarati News

‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું વિજય રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ

એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય –મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ

આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતના પોતાના ગોડાઉનમાં ર લાખ ૩ર હજાર ટન અનાજની સંગ્રહશકિત વધશે – પાક બગાડ અટકશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું.

આ યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ‘‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’’ તેમજ ‘‘કિસાન પરિવહન યોજના’’નો આજે પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં આ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે.

કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળતાએ પહોચાડી વધુ આવક રળી શકે તેવી નેમ રાખવામાં આવી છે. ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ રૂ. ૭પ હજારની સહાય સરકાર નાના વાહન ખરીદવા આપે છે.

રાજ્યમાં ૧ લાખ ૧૬ હજાર કિસાનોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ ૮૪૦૦ ખેડુતોને કિસાન પરિવહન યોજનાનો લાભ આપીને એક જ દિવસમાં રાજ્ય સરકારે ૧ લાખ રપ હજાર ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય ચૂકવી છે.

આ સહાયના પરિણામ સ્વરૂપે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતના પોતાના ગોડાઉનમાં ર લાખ ૩ર હજાર ટન અનાજની સંગ્રહશકિત વધશે તેમજ પાક બગાડ અટકાવી શકાશે.

એટલું જ નહિ, કિસાન પરિવહન સહાય યોજના તહેત ખેડૂત પોતાના નાના વાહન દ્વારા ખેત ઉત્પાદનો બજારમાં વેચીને આર્થિક સમૃદ્ધિ તરફ વળી શકશે.

વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને આવી સહાયના ચેક વિતરણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર ખેડૂત, ગામડું, ગરીબ, પીડિત, શોષિતના હિતોને વરેલી સરકાર છે. ‘‘જે કહેવું તે કરવું’’ એવી કાર્યસંસ્કૃતિ અમે વિકસાવીને હર મુશ્કેલ સમયે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છીયે. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી.

તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનોમાં ખેડૂતોને પાક વીમા માટે આંદોલનો કરવા પડતા અને ગોળીઓથી વિંધાવુ પડતું. એટલું જ નહિ, ૧૮ ટકા જેવા ઊંચા વ્યાજે ધિરાણ લઇ ખેડૂત દેવાના ખપ્પરમાં બરબાદ થઇ જતો. ટેકાના ભાવે ખરીદી પણ થતી નહિ અને ખેડૂત બાપડો-બિચારો હતો.

વીજ જોડાણો હોય કે યુરિયા ખાતર હોય ખેડૂતોએ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાહ જોવી પડતી એવી સ્થિતીનું છેલ્લા બે દશકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નિવારણ લાવી દીધું છે એમ તેમણે ગૌરવ સાથે ઉમેર્યુ હતું. હવે, ખેડૂતને સમયસર ખાતર અને ૮ થી ૧૦ કલાક વીજળી મળે છે-આવનારા દિવસોમાં દિનકર યોજનાથી દિવસે વીજળી આપવાની નેમ તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, આ સરકારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપી છે. ૧પ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરીને જગતના તાતના બાવડામાં બળ પૂર્યુ છે. હવે, સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી એ ખેડૂતને જગત આખાની ભૂખ ભાંગી શકવા સક્ષમ બનાવવો છે.

વિજયભાઇ રૂપાણીએ ‘હર ખેત કો પાની હર હાથ કો કામ’ની વિભાવના સાકાર કરતાં સૌરાષ્ટ્રના ૧૧પ જળાશયોમાં ‘સૌની’ યોજના દ્વારા નર્મદા જળ અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના દ્વારા સૂકી ધરાને પાણ હરિયાળી બનાવી વિપૂલ પાક લઇ ખેડૂતને દાડમ-બટાકા જેવી ખેતીથી ડોલર રળતો કરવાની પણ મનસા વ્યકત કરી હતી.

તેમણે ખેડૂત સમૃદ્ધિથી ગામ-નગર-શહેર અને રાજ્યની સમૃદ્ધિનો વિચાર આપતાં જણાવ્યું કે, ગરીબ, ખેડૂત, નાના વેપારી-કારીગરો જેવા સામાન્ય લોકોને સંશાધનો પર પ્રથમ હક્ક આપ્યો છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાના સમયમાં લોકડાઉન દરમ્યાન પણ ખેડુતના હિતોની ચિંતા કરીને બજાર ઉત્પન્ન સમિતીઓમાં પાક ખરીદી, ખેતરમાં પાણી વાળવા જવાની છૂટ વગેરે આપીને ખેડૂત-ખેતીને અટકવા દીધા નથી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વર્ષે કુદરત ગુજરાત પર મહેરબાન થઇ છે અને માગ્યા મેહ વરસ્યા છે ત્યારે ધરતીપુત્રો શિયાળુ અને ઉનાળુ પાકનું વિક્રમસર્જક ઉત્પાદન કરીને ગુજરાતને કૃષિક્રાંતિનું પણ રોલ મોડેલ બનાવે.

મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં થયેલા વરસાદને પરિણામે ખરીફ પાકને થયેલા નૂકશાન સામે રાજ્ય સરકાર ખેડૂતની પડખે ઊભી છે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે નૂકશાનીનો સર્વે સરકાર કરાવી રહી છે અને તેના આધારે ધરતીપુત્રોને નૂકશાની વળતર સહાય ત્વરાએ આપી દઇશું.

મુખ્યમંત્રીશ્રીએ પાક સંગ્રહ યોજનામાં સહાય મેળવનારા ખેડૂતો હવે પોતાના ઉત્પાદનો યોગ્ય રીતે જાળવી-સંગ્રહીને તેના પોષણક્ષમ ભાવો મેળવી શકશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓ પોતાના ખેત ઉત્પાદનો હવે જાતે જ અન્ય બજારોમાં લે-વેચ માટે લઇ જઇને ‘આત્મનિર્ભર’ ભારત-આત્મનિર્ભર ગુજરાતને સાકાર કરશે એમ પણ તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ આપતાં ઉમેર્યુ હતું. કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં આ યોજનાની છણાવટ કરી મુખ્યમંત્રીશ્રીની કિસાન હિતલક્ષી સંવેદનાની ભૂમિકા આપી હતી. કૃષિ સચિવ શ્રી મનિષ ભારદ્વાજ ગાંધીનગરથી આ ઇ-શુભારંભમાં જોડાયા હતા.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો, સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ ૩૩ જિલ્લા મથકોએ ૮૦ જેટલા સ્થળોએ આયોજિત સમારોહમાં સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.