Western Times News

Gujarati News

એઆઈનું ભાવિ અનિશ્ચિત, સરકારે હાથ અદ્ધર કરી લીધા

File photo

નવી દિલ્હી: સરકારે મંગળવારે સ્પષ્ટ કહી દીધું કે, દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને વેચવા કે બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આ વાત કહી. એરક્રાફ્ટ અમેડમેન્ટ બિલ, ૨૦૨૦ પાસ થયા પહેલા તેમણે એર ઈન્ડિયાના ખાનગીકરણ અંગે કહ્યું કે, જો સરકાર તેમાં મદદ કરી શકે તેમ હોત તો તેણે તેનું સંચાલન ચાલુ રાખ્યું હોત. પરંતુ, કંપની પર ૬૦ હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને સરકારની પાસે તેને ખાનગી હાથોમાં સોંપવા કે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, ‘અમને પૂરો વિશ્વાસ છે કે, એર ઈન્ડિયાને નવા માલિકને સોંપવામાં આવશે.,

જેથી તેનું કામકાજ ચાલુ રહે.’ આ પહેલા સોમવારે બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સરકાર એર ઈન્ડિયાની હરાજીને આકર્ષક બનાવવા માટે એક શરતને હટાવવા પર વિચાર કરી રહી છે. તે મુજબ, નવા માલિકને ૩.૩ અબજ ડોલરના એરક્રાફ્ટ ડેબ્ટમાંથી મુક્તિ મળી જશે. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની ખોટ દિવસેને દિવસે વધી રહી છે એટલે તેને ખરીદવા માટે કંપનીઓ આગળ આવતા અચકાઈ રહી છે. દરમિયાનમાં કહેવાઈ રહ્યું છે કે, ટાટા ગ્રુપ એર ઈન્ડિયા માટે બોલી લગાવી શકે છે. જણાવી દઈએ કે, ૬૭ વર્ષ પહેલા રાષ્ટ્રીયકરણ કાર્યક્રમ અંતર્ગત ટાટા જૂથે પોતાની માલિકીની એર ઈન્ડિયાને સરકારને સોંપી દીધી હતી.

હવે, ટાટા જૂથ ફરી તેનું માલિક બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે. હાલ મહારાજાના નામથી જાણીતી એર ઈન્ડિયા કોઈ સમયે ટાટા એરલાઈન્સના નામે જાણીતી હતી. ટાટા એરલાઈન્સે ૧૯૩૨માં સેવાઓ શરૂ કરી હતી. દેશના પહેલા લાઈસન્સ ધરાવતા પાયલટ જેઆરડી ટાટાએ પોતે ૧૫ ઓક્ટોબર ૧૯૩૨એ કરાચીથી મુંબઈની ફ્લાઈટ ઉડાવી હતી. તે પચી ૧૯૪૬માં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરી દેવાયું હતું. પછી વર્ષ ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કાર્યક્રમ અંતર્ગત સરકારે એર ઈન્ડિયાને ખરીદી લીધી હતી. દેશના એરપોર્ટોને અદાણી ગ્રુપના હાથમાં વેચવાના વિપક્ષના આરોપોનો જવાબ આપતા પુરીએ કહ્યું કે, મુંબઈ અને દિલ્હી એરપોર્ટમાં એર ટ્રાફિકનો ૩૩ ટકા હિસ્સો છે, જ્યારે અદાણી ગ્રુપને અપાયેલા ૬ એરપોર્ટનો કુલ ટ્રાફિકમાં માત્ર ૯ ટકા ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.