Western Times News

Gujarati News

ઘૂંટણના સાંધાની તીવ્ર વેદના કેવી રીતે મટાડશો ?

9825009241

માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેના થાણા જમાવે છે. થાણાં એટલા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી, ભારે સામાન પછી જ આ રોગ પીછેહઠ કરે છે. આ રોગને આયુર્વેદમાં કૌષ્ટુક શીર્ષ કહે છે.  કૌષ્ટુક શીર્ષ એટલે શિયાળના માથા જેવો આકાર. આ રોગના રોગીનાં ઘૂંટણ જાેશો તો આયુર્વેદે રોગના નામકરણમાં જે વિશિષ્ટતા બતાવી છે. એનો સ્પષ્ટ ખ્યાલ આવશે. ટૂંકમાં આ રોગના રોગીના ઘૂંટણ સૂજીને શિયાળના માથા જેવા આકારના બનેલાં હોય છે.

મુખ્યત્વે વાત અને રક્તની વિકૃતિથી આ રોગનો ઉદ્‌ભવ થાય છે. તેમાં તીવ્ર પીડા અને ઘૂંટણનો સોજાે મુખ્યત્વે જાેવા મળે છે. સુશ્રુતે આ રોગનું વર્ણન વાતવ્યાધિમાં કર્યું છે. જ્યારે ગયદાસજીએ વાતરક્તનો વિકાર માન્યો છે. પ્રારંભમાં વાતદ્રષ્ટિ અને તેના કારણે રક્ત દૂષિત થાય છે અને દૂષિત થયેલું રક્ત અને વાયુ સ્ત્રોતોમાં અવરોધ કરીને સોજાે અને પીડા ઉત્પન્ન કરે છે. વાયુનો પ્રકોપ માર્ગાવરોધ અથવા ધાતુઓના ક્ષયના કારણે જ થાય છે.

સૂજેલા ઘૂંટણો
આ રોગ ક્યારેક એક પગના ઘૂંટણે થાય છે અને ક્યારેક બંને પગે અથવા તો ધીમે ધીમે બંને પગે ફેલાતો જાય છે. આ સૂજેલા ઘૂંટણવાળા ભાગ તપાસતા અંદરના ભાગમાં કોઈ જાડુ પ્રવાહીભર્યુ હોય તેમ દબાવતા ખ્યાલ આવે છે.

આયુર્વેદે આમ શબ્દ વાપર્યાે છે તે સાંધાઓ ઉપર છવાયેલો આમનો ખૂબ જ ભારે જથ્થો સૂચવે છે. આ રોગમાં પગ લાંબો કે ટૂંકો કરવો હોય તો રોગીને ખૂબજ વસમુ લાગે છે. થોડા ડગલા ચાલતા જ ભારે પીડા થવા માંડે છે. અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમાં મુખ્યત્વે વેદના, સંધીઓમાં કંપ અને વિકૃતિ જાેવા મળે છે.

માધવ નિદાનકર આ રોગ પરત્વે લખે છે કે વાયુ અને લોહીના વિકારથી ઘૂંટણમાં અત્યંત વેદનાકર સોજાે ચઢે છે, તેથી તે અવયવ સૂજીને શિયાળના માથા જેવો મોટો થાય છે. અને તે ઉપરથી રોગને કૌષ્ટુક શીર્ષ-શિયાળનું માથુ કહે છે. આ રોગીને તપાસતા પગના ઘૂંટણની મૂળ સ્થિતિમાં ફેરફાર તેમજ શ્લેષ્મધરા કલામાં દ્રવ સંચયને કારણે ઉત્પન્ન તરંગો જાેઈ શકાય છે.

આ સાંધાને વાળી શકાતો નથી. આગળ પાછવ હલાવતાં કર-કર શબ્દ સંભળાય છે. આ રીતે આયુર્વેદે આમની વ્યાખ્યા કરેલી છે. કૌષ્ટુક શીર્ષ એ આમાંથી જ ઉદ્‌ભવતાં રોગ છે.

કારણો:
ચિકિત્સા ક્ષેત્રના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણના સાંધાના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીધો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ-જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધા ઉપર ભારણ વધુ પડે. કેટલાક કુટુંબમાં આ રોગ વારસાગત ઉતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દ્રષ્ટિ છે. જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે.

સાંધાના રોગો, માર વાગવો, સાંધાની લીસ્સી સપાટી ખરબચડી બની જાય છે. જેના કારણે ઘૂંટણના સાંધા વધુ પ્રમાણમાં ઘસાય છે. વિરૂદ્ધ આહાર-વિહારથી લોહીમાં એક પ્રકારની ખરાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે. અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે. ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારના સેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથી ઘૂંટણના સાંધા પકડાય છે.

આ સાંધાઓમાં સોજાે આવે છે. ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તાંદ્રવત એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે. જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જાેવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં, સુવાવડ કે કસુવાવડ પછી મધુમેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલા માનવીઓને આ રોગ વિશેષ પ્રમાણમાં થાય છે.

વાયુના જુદા જુદા સ્થાનમાં આમસંચાર થવાથી જુદા જુદા રોગો જાેવામાં આવે છે. તે જ્યારે ઘૂંટણના સંદિસ્થાનમાં આશ્રય પામે છે ત્યારે સંધિમાં શોધ, પીડા અને એ અંગો શિથિલ એટલે કે કર્મહીન-કામ કરવાથી શક્તિ વગરના તથા આકારમાં વિકૃતિ પામેલા બને છે. આ દરદનું સ્થાન શોધયુક્ત, પીડાયુક્ત અને કર્મહીન હોય છે.

લક્ષણો:
એક યા બંને પગના ઘૂંટણનો દુઃખાવો એ મુખ્ય ફરિયાદ હોય છે. રોગની શરૂઆતમાં સવારે ઉઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુઃખે છે અને થોડી હરફર થયા પછી દુઃખાવો ઓછો થી જાય છે. ચાલવાથી ધીમે ધીમે દુઃખાવો વધે છે, એક સાથે વધુ ચાલવામાં આવે તો સોજાે અને કળતર વધી જાય છે. સમય જતા આ દુઃખાવો કાયમનો બની રહે છે. દુઃખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી. ક્યારેક પણ લંગડાય છે, ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે. અને તેના હલનચલનમાં કર કર અવાજ પણ આવે છે.

પલાંઠી વાળીને ઉભડક બેસવામાં તેમજ દાદર ચઢવા-ઉતરવામાં ખૂબ દુઃખાવો થાય છે. ઘૂંટણના પાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરીયાદ કરે છે. આજકાલ પગના ઘૂંટણ જલાઈ ગયાની ફરિયાદ વધુ જાેવામાં આવે છે કારણ કે આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી અતિભારે. ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે. તેથી વગર શ્રમે થાક લાગે છે. પેશાબની હાજત વધે છે. તેમજ વાયુના ઉપદ્રવો અને બેચેની અસર જણાય છે. આમનો સંચય જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ તે ઘૂંટણના સ્ત્રોતોમાં એકઠો થતા જાય છે. અસહ્ય વેદનાને લીધે કોઈ કાર્ય કહી શકાતું નથી.

પરિણામ ખૂબ જ લાંબા સમય સુધી હેરાનગતિ ચાલુ રહે છે. આ વ્યાધિ મોટે ભાગે મોટી ઉંમરે જાેવા આવે છે. પણ આજે તો આ રોગના ઉપદ્રવો નાની ઉંમરમાં પણ ઠીક-ઠીક પ્રમાણમાં થતા જાેવા મળે છે. ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને સીરીંજ (પિચકારી)થી બહાર ખેંચી લઈ પીડા ઓછી થાય તે માટે જુલુકેઈન-કોર્ટીલોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે. પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે. પણ સમય જતા ફરીથી આ રોગનો હુમલો થઈ આવે છે. ત્યારે ફરીથી આ ઔષધો વાપરવા પરત્વે માંગી લે છે.

આયુર્વેદ તો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે. આ રોગમાં પણ મરારરનાદિ કવાથ સાથે એરંડ તેલનો ઉપયોગ અને આહારમાં લઘુભોજન અને લંઘનને વધુ મહત્ત્વ આપે છે. મારે ત્યાં ચિકિત્સા માટે આવતા આ રોગના રોગીઓમાં મારે અનુભવ એમ કહે છે કે એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું. એટલે રોગીની પ્રકૃતિ રોગની અવસ્થા સાથે જુદા જુદા ઔષધોની યોજના યોજું છું.

સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ એકાંગવીર રસ વાતચિંતામણી રસ મલસિંદુર, મહાયોગરાજ ગુગળ ગોક્ષુરાદિ ગુગળ, સિરનાદ ગુગળ તથા મહારાસ્નાદિ ક્વાથ સાથે તૈયાર કરેલ એરંડ તેલનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું. અને ઉપરના ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું. આ રોગની કોઈપણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહર લેવો તથા સૂરક્ષા કિરણો સતત લાભકારી મને જણાયા છે.

આ રોગના રોગીને જાે મધુમેહનો ઉપદ્રવ હોય તો મધુપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઉંચા દબાણમાં પણ ઉપરના સૂચવેલા ઔષધો ખૂબ જ સમજપૂર્વક વાપરવા જાેઈએ. આ રોગનો રોગી મેદસ્વી હોય તો ક્રમશઃ વજન ઘટાડવું ખૂબ જ મહત્ત્વનું અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવા પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારો:
(૧) મેથીનો ભૂકો કરી એરંડ તેલમાં શેકી બાટલી ભરી લેવી રોજ ૧ ચમચી ગરમ પાણી સાથે લેવી.

(૨) શરમા સાતક કવાથનો ૨૦ ગ્રામ ભૂકો, નગોડ ૧ પાન, સૂંઠ ૧ ટુકડો લસણ-૧૪ કળી નગોડ અને લસણની કળીની ચટણી બનાવી લઈ, કવાથના ભૂકામાં મેળવી ૧૬ ગણા પાણીમાં ઉકાળી ૪થા ભાગનું બાકી રહે ત્યારે ગાળી પીવું.

(૩) રસ ઔષધિમાં બૃ.વાંતચિંતામણી રસ ૧૨૦ મિ.ગ્રા. મહાયોગરાજ ગૂગળ ૨૪૦ મિ.ગ્રા., શૃંગભસ્મ ૧ ગ્રામ, કાસ્કર ચૂર્ણ ૧૨૦ મિ.ગ્રા સારી રીતે મેળવી ૨ પડીકા કરવા. સવાર સાંજ ૧ પડીકી ગરમ પાણી સાથે લેવી. બૃ.વાંતચિંતામણી રસની જગ્યાએ સુ.યોગેનુચ્ય એકાંગવીર રસ, વાતવિધિંચરસનો પ્રયોગ પણ કરી શકાય.

(૪) રાત્રે મહાનારાયણ તેલ અને વિપગર્ભતેલ સમભાગે મેળવી હળવા હાથે ઘૂંટણ ઉપર લગાવી ૧ કિલો રેતી ગરમ કરી થેલીમાં ભરી તેનો શેક ઘૂંટણ ઉપર કરવો. આ રેતીનો શેઠ પીડાસમ કરવામાં ખૂબજ લાભપ્રદ જણાયો છે.

(૫) પીપોલેપ: રેવંચીનો શીરો (ખરાઈ) લોવાન (શેરી) સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી બાટલી ભરી દેવી. એક મોટો ચમચો લો, પાણીમાં ખદબદાવી સહન થાય તેવો ગરમ ગરમ લેપ કરી પાટો બાંધી લેવો. આ લેપ પીડા મટાડે છે. સોજાે ઉતરે છે. આ લેપ આ રોગમાં ખૂબ જ ઉપયોગી જણાયો છે.

(૬) પુનર્નવાદિ ગુગળ ૨ ગોળા, ગોઠ્યુરાદિ ગુગળ ૨ ગોળા, ચંદ્રપ્રભાર ગોળા આ ત્રણેમાંથી એકેક ગોળા જમ્યા પછી ભૂકો કરી લેવી. ઉપરોક્ત ગોળીઓ શોથણી, વાતઘ્ન અને પીડાશામક છે. એટલું જ નહીં પણ તેનો પ્રભાવ વૈદનાહર, વાતહર શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતિઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે. ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનો વાતહરગુણ, સુરમનનો સંધીવાતહર ગુણ, હીરાલોમનો પીડાશામક ગુણ, કારસ્કરમાં નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિભંડીનો આમદોષ નિઃસારણ ગુણનો સુમેળ આ ટીકડીમાં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે.

પાશ્વાત્ય વૈદકમાં વાતજન્ય વ્યાધિઓને જ્ઞાનતંતુ સાથે સંબંધ છે તેમ મનાય છે જ્યારે આયુર્વેદના મત મુજબ જ્ઞાનતંતુઓના દરદી વાતરોગમાં જ આવે છે. જેથી વાતજન્ય તેમજ જ્ઞાનતંતુઓ સાથે સંબંધીત વાતરોગમાં આ ટીકડી લાભપ્રદ ઔષધ પુરવાર થયું છે. આ ટીકડીનો ઉપયોગ ઘૂંટણનો વા, સંધીવા, કરીશુળ, ગવ્રુસી-સારાટીકા સ્નાયુશૂળ આમવાન વિગેરે વાતજન્ય વ્યાધિઓમાં લાભપ્રદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.