Western Times News

Gujarati News

આજે કૃતજ્ઞતા જાેવા મળે છે ?- લોકો દિવસેને દિવસે સ્વાર્થી બનતા જાય છે

આજના આ કળિયુગના જમાનામાં બહુમતિ લોકો દિવસેને દિવસે સ્વાર્થી બનતા જાય છે. મને શું ? મારું શું ? તેવી વિચારસરણી ધરાવતા લોકો પોતાને કેટલો ફાયદો મળે છે તેમાં જ તેઓનો રસ જળવાયેલો હોય છે.

પોતાનું કામ અન્ય લોકોની સહાયથી સરળ થતું હોય અથવા બીજાઓ દ્વારા ધાર્યાે કે અણધાર્યાે લાભ મળતો હોય અથવા કોઈ પણ કારણસર કોઈએ પોતાના પર ઉપકાર કર્યાે હોવા છતાં પોતે તે વ્યક્તિની કદર કરતા સો વાર વિચાર કરે અથવા આભાર માનતા પોતે નીચો થઈ જતો નથી તેની ખાસ કાળજી રાખતા હોય છે.

માનવીએ કૃતજ્ઞતા દાખવવી તે ખાનદાનીની નિશાની ગણાય છે. ઉપકારનો બદલો અપકારથી ન કરાતા તેની કદર કરીને કોઈપણ રીતે ઋણ ચૂકવાતા તેના મન પરનો ભાર હળવો થઈ જાય છે અને પોતે તે વ્યક્તિને આભારની લાગણી વ્યક્ત કરતા પોતાના મનમાં સંતોષ થાય છે.

દાખવો કૃતજ્ઞતા મળ્યો લાભ તુજને જેના થકી, દાખવીને કૃતજ્ઞતા છતી થાશે તુજ ખાનદાની, મેળવીને કોઈનું અહેસાન ન ભૂલી જાઓ તે અહેસાનને, બની જાઓ નમકહલાલ, લૂણહલાલ, કદર દાખવીને.

મા બાપ દીકરા દીકરીઓને ભણાવીગણાવી તેઓનું જતન કરીને તથા સારા સંસ્કાર સીંચીને હોશિયાર તથા પાકટ બનાવવા અગાધ મહેનત કરતા હોય છે અને પોતાનો ભોગ આપવામાં પાછી પાની કરતા નથી હોતા.

પરંતુ અમુક પરિવારનાં સંતાનો પરણીને પોતાના જીવનસાથીની કાનભંભેરણીથી મા-બાપની સેવા-ચાકરી દેખરેખ કરવામાં ઢીલ કરે છે. અને મા-બાપે તેઓ માટે આપેલો ભોગ પણ વિસરી જાય છે અને ઋણ ચૂકવાને બદલે તેઓની અન્ય સાધારણ વ્યક્તિઓની જેવી ગણતરી કરતા અચકાતા નથી. અલબત્ત મા-બાપની દેખભાળ અથવા માંદગીમાં સારવાર કરવાની ફરજ બજાવે છે જે આ જમાનામાં અમુક પરિવારમાં જ જાેવા મળે છે.

advt-rmd-pan

માનવી જ્યારે કોઈના પર ઉપકાર કરે ત્યારે તેઓએ કરેલ ઉપકારની કદરની અપેક્ષા રાખવી ન જાેઈએ. કોઈ વ્યક્તિ કૃતજ્ઞતા દાખવે કે નહિ એ વિચાર્યા વગર મદદરૂપ બનવું તે જ ખરી પરોપકારી ભાવના છે.

કૂતરા કે સિંહ જેવા પણ પરોપકારનો બદલો વાળે છે. માનવીને તો રગેરગમાં તે ભાવ હોવો જાેઈએ.

એક રંક માનવ કોઈ જમીનદારને ત્યાં ગુલામ તરીકે વેચાયો. એ સમયમાં ગુલામીપ્રથા એટલે નર્યું નરકાગાર, અધિક પરિશ્રમ, શારીરિક, માનસિક ત્રાસ અને છતાં ખાવાપીવા કે પહેરવાનું પૂરતું મળે નહિં. આવા અનેક પ્રકારના ત્રાસથી પેલો માણસ ત્રાસી ગયો અને ભાગી છૂટ્યો. જંગલની ગીચ ઝાડીમાં સંતાતો દોડતો હતો, ત્યાં તેણે માર્ગમાં એક સિંહને બેઠલો જાેયો, માનવ જાેવા છતાં સિંહ સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહ્યો. તેના મુખ પર કંઈક દર્દ જણાતું હતું. તેણે વિચાર કર્યાે કે જાે પકડાઈ જઈશ તો પણ મૃત્યુ છે, તો સિંહ પાસે જઈને તેનું દુઃખ જાણી લઉં. તેથી તે સિંહની પાસે ગયો. તે વખતે સિંહે પોતાનો એક પગ લાંબો કર્યાે. તે માણસે જાેયું તો સિંહના પગમાં શૂળ ભોંકાઈ ગઈ હતી. તે માણસે પેલી શૂળ ખેંચી કાઢી પગ નીચે મૂક્યો. માણસના આત્મસંતોષની અને સિંહની ઉપકાર-દ્રષ્ટિનું મિલન અદ્‌ભૂત હતું.

એટલી વારમાં તો ગુલામને પકડવા ઘોડેસવાર આવી પહોંચ્યા અને એ પકડાઈ ગયો. માલિકે સજા જાહેર કરી કે ગુલામને સિંહના પીંજરામાં પૂરી દો અને એ ગુલામને ખતમ કરો. સૈનિકો જંગલમાં ગયા. પેલો સિંહ દોડી શકતો ન હતો, ભૂખ્યો ન હતો, તેથી અશક્ત હતો. તે પણ પકડાઈ ગયો. પીંજરામાં પુરાઈ ગયો અને નગરમાં લાવવામાં આવ્યો. પીંજરાની સામે ગુલામને હાજર કરવામાં આવ્યો. પેલા સિંહની જીભ તો લબક લબક થતી હતી.

સળિયા વડે બારણું ખુલ્યું અને માણસને નીચેના ભાગથી ધક્કો મારી અંદર ધકેલવામાં આવ્યો. સિંહે ગુલામ સામે નજર કરી. તેનું લોહી સુંઘ્યું પણ આ શું ? ભૂખ્યો સિંહ, સામે મનગમતો ખોરાક, છતાં નીચું જાેઈ પીંજરામાં બેસી ગયો. થોડી મિનિટો પસાર થઈ. ભૂખ્યો સિંહ અને મૃત્યુના મુખમાં ઊભેલો માનવ બંને સ્વસ્થ હતા. પીંજરાનું બારણું ખુલ્યું. ગુલામને બહાર કાઢવામાં આવ્યો. જમીનદારે ગુલામને જ પૂછ્યું કે સિંહ તરાપ મારવા તૈયાર થયો હતો, તે તારી નજીક આવી કેમ અટકી ગયો ?

ગુલામે બનેલા પ્રસંગને કહી સંભળાવ્યો. જમીનદારનું દિલ દ્રવી ઊઠ્યું. તેણે પોતાના ગુલામોમાં ભાઈચારો ગ્રહણ કર્યાે. ગુલામોને ગુલામ ન ગણતાં માનવતાભર્યું વર્તન તેણે સ્વીકાર્યું. એક સિંહ પણ ઉપકારવશ સજ્જનતા દાખવી કૃતજ્ઞ બન્યો. આપણે માનવે તો એથી પણ વિશેષ બોધ પ્રાપ્ત કરવાનો છે.

અરે, ભૂલી ગયા શું તમે તેનો ઉપકાર, જેણે કર્યાે છે અહેસાન તુજ પર બની જાઓ ઋણમુક્ત કરીને તેની કદર, મળશે તેની દુઆ તુજને જિંદગીભર ફરજ સમજીને લોકો એકબીજાને મદદરૂપ બનશે તો દુનિયામાં પ્રેમભાવ પણ વધશે. દુશ્મનનું અહિત કરવાનાં વિચાર કરવા કરતા તેને ઉપકારથી વશ કરવો જાેઈએ. વિદ્યા દેનાર વિદ્યાગુરુ, ધર્મનાં સિદ્ધાંતોની સમજ આપનાર ધર્મગુરુ, જન્મ આપનાર જન્મદાતારૂપી માબાપને લોકો વિસરી જાય છે અને આજે લોકો મનમાં એમ સમજતા થયા છે કે એમાં નવાઈ શી કરી એ તો એમની ફરજ છે. પરંતુ આજકાલ પોતાના પર કરેલ ઉપકાર કરનારને લોકો વિસરી જાય છે અને લોકો તે ઉપકારી પર કેવો બદલો વાળે છે.

કોઈને કોઈ રીતે બીજાને મદદરૂપ થવાથી પોતાને સુખ મળે છે. કુદરતનો નિયમ એવો છે કે કામનો બદલો મળ્યા વિના રહેતો નથી. બીજા પર ઉપકાર કરવાથી માનસિક શાંતિ પણ મળે છે. નિસ્વાર્થ ભાવથી મદદ કરીને કોઈ ફળની આશા રાખવી જાેઈએ નહીં. બીજાના કામ કરવામાં નાનમ અનુભવી ન જાેઈએ. કોઈ આંધળા માણસને કે વૃદ્ધજનને રસ્તો ઓળંગવા માટે મદદ કરીએ તો એની દુવા તો મળશે જ પરંતુ સાથે સાથે હૃદયની અંદર સત્કાર્ય કર્યાનો સ્વઆનંદ છલકાતો રહેશે.

સૂતાં પહેલાં દરરોજ કરેલા કાર્યાેનું બારીકાઈથી મનન કરો. દિવસ દરમ્યાન કોઈક સારું કાર્ય થયું કે નહિં એ વિચારો અને સારું કામ કર્યું હશે તો નિરાંતની નિંદર માણી શકાય. કૃતજ્ઞતામાં સમાયેલી છે નમ્રતા, મોટાઈ, ભલાઈ, સભ્યતા, ઉત્તમતા અને કોમલતા કૃતઘ્નતામાં રહેલી છે ઉદ્ધતાઈ, નાનપ, બૂરાઈ, તોછડાઈ, અધમતા અને કઠોરતા. કોઈના પર અહેસાન કરવો જાેઈએ પરંતુ અહેસાનમંદ તો ન જ બનવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.