Western Times News

Gujarati News

NDAના સાથી પક્ષોની પણ છેડો ફાડવાની ચીમકીઃ કિસાન આંદોલન મામલે સરકાર મુશ્કેલીમાં

પ્રતિકાત્મક

ત્રણ કૃષિ કાયદાઓનો ખેડૂતો દ્વારા વિરોધ ઉગ્ર બન્યો-ખેડૂતોની વાત નહીં મનાય તો ટ્રાન્સપોર્ટર્સની હડતાળની ધમકી
નવી દિલ્હી ,  નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂત સંઘો બપોરે ૨ વાગ્યે ફરી મળ્યા. અગાઉ પંજાબના ૩૦ ખેડૂત સંગઠનો સવારે ૧૧ વાગ્યે મળ્યા હતા. બપોરની બેઠક બાદ પત્રકારો પરિષદ યોજીને ખેડૂતોએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

ખેડુતોએ કહ્યું હતું કે, અમે મોદીને અમારા મનની વાત કહેવા માટે આવ્યા છે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો પરિણામ ભોગવવા પડશે. ખેડુતોએ કહ્યું કે મોદીજી મુંહ મે રામ બગલમે છૂરીવાળું કામ કરી રહ્યા છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. તે જ સમયે પ્રેસ કોન્ફરન્સમાં હાજર ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોએ કહ્યું કે આ આંદોલન કોઈ એક રાજ્યનું નથી, આ આંદોલન કોઈ એક ખેડૂતનું નથી, તે આખા દેશના ખેડુતોનું આંદોલન છે. ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે. ખેડુતો સ્પષ્ટ કહે છે કે તેઓ પીછેહઠ નહીં કરે. ૧૦ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડુતોની વાત નહીં માનવા પર હડતાળની ધમકી આપી છે.

ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા સરકારની ખેડૂતોની માંગણીઓ પૂરી કરવા ૨ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ભારતી કિસાન યુનિયન (ડાકોંડા)ના નેતા જગમોહનસિંહે કહ્યું કે અમે તમામ રાજ્યોના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી શકતા નથી. અમે ફક્ત પંજાબની ૩૦ સંસ્થાઓ સાથે જ આ કરી શકીએ. અમે મોદીજીના શરતી આમંત્રણને નકાર્યું છે. સ્વરાજ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે આ આંદોલન ઐતિહાસિક છે.

તેમણે એમ પણ કહ્યું કે આ ખેડૂતો અને સત્તા માટે લડત છે. આ આંદોલન ભારતના લોકશાહી માટેના નમૂના સમાન છે. સ્વરાજ ઈન્ડિયાના વડાએ કહ્યું કે ખેડૂતોને પ્રશન પૂછવા કરતા સરકારને આ દિવસોમાં પૂછી લેવું વધુ સારું છે. તેમણે કહ્યું કે આ આંદોલન માત્રે પંજાબના ખેડૂતનું જ નહીં પરંતુ ૩૦ ખેડૂત સંગઠનો પણ આંદોલન કરી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોના ખેડૂતો તેમના જિલ્લા મથકો પર દેખાવો કરી રહ્યા છે.

દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે એનડીએ પર જોવા મળી રહી છે. એનડીએમાં સહયોજક દળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી- આરએલપીએ કેન્દ્ર સરકારને કૃષિ કાયદાઓ પરત ખેંચવા માંગ ઉઠાવતા એનડીએ સાથે છેડો ફાડવાની ધમકી આપી હતી.

આરએલપીના સંયોજક અને સાંસદ હનુમાન બેનીવાલે ગૃહ મંત્રી અમિત શાહને આ મુદ્દે પત્ર લખ્યો હતો. આરએલપીએ પત્રમાં લખ્યુ હતું કે જો આ મુદ્દે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો પાર્ટી એનડીએ સાથે જોડાઇ રહેવા પર વિચારણા કરશે. બેનીવાલે આ સંદર્ભે સોમવારે અમિત શાહને સંબોધિત એક ટ્‌વીટ કરતા લખ્યુ હતું કે, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ભાવનાને સમજતાં તાજેતરમાં લાગૂ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓને ત્વરિત પાછા ખેંચી, સ્વામીનાથન આયોગની ભલામણોને લાગૂ કરો અને ખેડૂતો સાથે વાતચીત માટે તેમની ઇચ્છાનુસાર સ્થાનની મંજૂરી આપવામાં આવે.

તેમણે ટ્‌વીટ થકી એવો સંદેશો પણ આપ્યો હતો કે, આરએલપી એ એનડીએનું સભ્ય દળ છે, પરંતુ તેની શક્તિ ખેડૂતો અને જવાન છે, આથી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરતા કૃષિ કાયદા પાછા ખેંચે નહીં તો ખેડૂતોના હિત માટે દળે એનડીએના સહયોગી દળ રહેવા પર વિચારણા કરવી પડશે. આરએલપી અને બીજેપીએ ગત લોકસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી, જેમાં બીજેપીએ રાજ્યમાં ૨૫માંથી એક સીટ આરએલપીને સોંપી હતી, જેની પર બેનીવાલ ચૂંટાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.