Western Times News

Gujarati News

વેન્ટીલેટર પર રખાયેલા નવજાત બાળકે ૧૪ દિવસે કોરોનાને મ્હાત આપી

માત્ર ૧૪ દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર

રાજકોટ, બાળકનો જન્મ થાય ત્યારે માતા-પિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી. બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પીંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે.

આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર ૧૪ દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર. બાળકના માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઈને કોરોના પોઝિટિવ હતો.

સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજાેગોવસાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી. બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ-૧૯ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું.

જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું ડો. કોમલ મેંદપરા જણાવે છે. ડો. કોમલ જણાવે છે કે, બાળકની સારવાર માટે તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં ડી- ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં.

શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યાર બાદ સ્થિતિ સુધરતા તેને શરૂઆતમાં એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા ૧૪ દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.