Western Times News

Gujarati News

અમદાવાદને આખી રાત વરસાદે ઘમરોળ્યું- એક રાતમાં 6 ઈંચ ખાબક્યો

વાસણા બેરેજના 6 ગેટ ખોલ્યા- કેટલાંક વિસ્તારોમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદ, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આખી રાત વરસાદ સતત વરસ્યો છે. રાત્રે લગભગ 8 વાગે શરૂ  થયેલો વરસાદે મોડી રાત્રે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. પવન અને વિજળીના કડાકા સાથે પડેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

એસ.જી. હાઈવે અને સરદાર પટેલ રીંગ રોડ પર પણ ભારે વરસાદ પછી મોડી રાત્રે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. લગભક 11 વાગ્યાની આસપાસ એસ.પી. રીંગ રોડ પરથી સાઉથ બોપલ જતાં લગભગ 45 મિનિટ સુધી ટ્રાફિક જામ રહ્યાે હતો.  અમદાવાદની આસપાસના વિસ્તારો ગાંધીનગર, ધોળકા, સાણંદમાં પર વરસાદે મોડી રાત્રે જોર પકડયું હતું. લગભગ સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થતાં નાગરીકોને હાશકારો થયો હતો. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ પવને પણ જોર પકડ્યુ હતું. કેટલાંક વિસ્તારોમાં નાગરીકો આખી રાત જાગ્યા હતા. પશ્ચિમ અમદાવાદમાં કેટલાંક સ્થળોએ 1 ફૂટ પાણી ભરાયા હતા.

મોડી રાતે ચાલુ થયેલા વરસાદને કારણે કેટલાંક વિસ્તારમાં 6ઈંચથી વધુ વરસાદ પડયો હતો. સવારે 4 વાગે વરસાદની તીવ્રતા વધતાં કેટલાંક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદમાં આખી રાત વરસાદને કારણે સાબરમતી નદીમાં પણ ઉપરવાસના પાણી આવવાના કારણે નદીમાં પાણીની સપાટી વધી હતી જેને કારણે મોડી રાત્રે વાસણા ડેમના 6 દરવાજા ખોલવા પડયા હતા. વાસણા બેરેજમાંથી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. પાણી છોડવામાં આવતાં નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  વાસણા અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. જો કે મોડી રાત્રે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નાગરીકોને ખાસ કોઈ હાલાકી ભોગવવી પડી ન હતી. સવારે 6 વાગતા સુધીમાં વરસાદનું જોર ઘટયું હતુ.

અમદાવાદ મ્યુ. કોર્પો.ના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપવામાં આવી હતી કે શહેરમાં 500થી વધુ હેવી ડ્યુટી પંપ કાર્યરત છે અને 430 જેટલા સ્યુવરેજ પંપીંગ સ્ટેશન, તેમજ 70 સ્ટ્રોમ વોટર ડ્રેઈન પંપ કાર્યરત છે. જેના કારણે 1 કલાક જેટલા સમયમાં જ શહેરમાંથી પાણી ઉતરી જશે. ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ પણ જનતા માટે ખુલ્લો છે. અમ. મ્યુ. કોર્પો. દ્વારા તકેદારીના ભાગ રૂપે પહેલાથી જ કેચપીટો સાફ કરી દેવામાં આવી હોવાથી પાણી ભરાવાની ફરીયાદો આવી નથી.

બોટાદ અને રાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઉતાવલી ઈરીગેસન ડેમના 5 દરવાજા ખોલાયા છે અને 25000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ ડાઉન સ્ટ્રીમમાં 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 60 લોકોને બેલા ગામમાંથી ખસેડવામાં આવ્યા છે.  વલભીપુરમાં 7 ઈંચ, ઉમરાલામાં 6 ઈંચ, જયારે ભાવનગર અને સીહોરમાં 4 ઈંચ વરસાદ આખી રાતમાં પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.