Western Times News

Gujarati News

આજવા પ્રતાપપુરામાંથી ૮,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડાયું

વિશ્વામિત્રીની સપાટીનું સતત મોનીટરીંગ કરીને અસર પામવાની શક્યતાવાળા વિસ્તારોને આગોતરી ચેતવણી આપવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

શહેરમાં નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી ૧,૧૦૦ લોકોને સલામત સ્થળો પર આશ્રય અપાયો

વડોદરા  આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ નથી અને આજવાની સપાટી પણ ઘટી રહી છે તેવી જાણકારી આપતા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, હાલમાં પ્રતાપપુરા અને આજવામાંથી કુલ ૮,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે.

ગઇકાલની સરખામણીમાં છોડવામાં આવતા પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે. વિશ્વામિત્રીની સપાટી કાલાઘોડા ખાતે ૨૦ ફુટ થાય ત્યારથી જ જે-તે વિસ્તારોમાં પ્રભાવ પડવાની શક્યતા હોય તેની ઓળખ કરીને ચેતવણી આપવા તેમજ સ્થળાંતર કરવાનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતુ અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે.

હાલમાં વરસાદના બીજા તબક્કામાં પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, બાવનચાલ, એકતા નગર, જલારામ નગર સહિતના શહેરના વિવિધ વોર્ડ્સમાં વહેંચાયેલા વિસ્તારોમાંથી ૧,૧૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખેસડવામાં આવ્યા છે અને તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. શહેરમાં અવારનવાર વરસાદી ઝાપટા શરૂ છે તેની વચ્ચે આરોગ્ય, સ્વચ્છતા, ડી-વોટરીંગ, ગટર સફાઇ અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા ઉપરાંત રસ્તાઓના પેચવર્ક સહિતના કામો સતત ચાલી રહ્યા છે. લોકોના સ્થળાંતરમાં એનડીઆરએફ, એસડીઆરએફ, શહેર પોલીસ, ફાયરબ્રિગેડ આ સહુનો ઉમદા સહયોગ મળ્યો છે.

     લોકો ખોટી અફવાઓથી ગભરાઇ કે ભોળવાઇ નહિ તેવો અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, વિશ્વામિત્રીની સપાટી સહિત જરૂરી બાબતોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે શહેરમાં રસ્તાઓ ચાલુ છે, વાહનવ્યવહાર ચાલુ છે, બ્રીજો ચાલુ છે જે સામાન્ય પરિસ્થિતિ દર્શાવે છે. સતત મોનીટરીંગ થઇ રહ્યું છે એટલે પ્રજાજનોએ ખોટો ગભરાટ અનુભવવાની જરૂર નથી. આજવાની સપાટી ઘટી રહી છે તેમ છતાં ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ જેવા વિવિધ કારણોસર વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

     તળાવમાં દશામાંનું વિસર્જન સલામતી સાથે થાય તે માટે ફાયર બ્રિગ્રેડની ટીમો સાધનસુવિધા સાથે તૈનાત કરવામાં આવી છે. હાલના આ વરસાદી તબક્કા દરમિયાન શહેરમાં નવ અને જિલ્લામાં ચાર મળીને કુલ ૧૩ માનવમરણ નોંધાયા છે. હાલમાં વિવિધ તાલુકાઓના ચાર ગામો રસ્તા-માર્ગે સંપર્કવિહોણા છે પરંતુ આ ગામો સાથે ટેલિકોમ્યુનિકેશન કરીને સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. જિલ્લાના બંધો અને તળાવોની સપાટીઓનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

     જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ડભોઇ તાલુકાના પાંચ ગામોમાં ૧,૮૦૦ લોકોનું સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી. આ ઉપરાંત કરજણ, પાદરા, ડેસર, સાવલી જેવા તાલુકાઓમાં ઓછા પ્રમાણમાં સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી. નર્મદા અને દેવ નદીમાંથી પાણી છોડવાને પગલે સંબંધિત તાલુકાઓના કાંઠા વિસ્તારના ગામોને સાવધાન કરવામાં આવ્યા હતા. આ બંને ડેમોમાંથી છોડવામાં આવતા પાણીનું પ્રમાણ ઘટ્યું છે તેમ છતાં નદીકાંઠાના લોકો સાવધાની રાખે અને નદીકાંઠે ન જાય, પશુઓને ન લઇ જાય,નદીના પટમાં રોકાણ ન કરે તે પ્રકારની તકેદારીનું પાલન કરે તે જરૂરી છે.       હવામાન ખાતાએ વધુ એકવાર ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે તેના અનુસંધાનમાં પણ તંત્ર એલર્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.