Western Times News

Gujarati News

તેજસ્વી યાદવે અને નીતિશ કુમારની ટીકા કરનાર ઇન્ડિગો એરલાઇન્સના મેનેજરની પટણામાં હત્યા

પટણા, બિહારની રાજધાની પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર રૂપેશ કુમારની એના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પટણામાં રૂપેશ કુમારનો દબદબો એક સેલેબ્રિટી જેવો હતો. એ મંગળવારે એરપોર્ટ પરથી પોતાના નિવાસસ્થાને આવી રહ્યા હતા ત્યારે ઘરની બહાર અથવા કહો કે ઘરની નજીક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમને તરત હૉસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મરેલા જાહેર કર્યા હતા.

નજરે જોનારા લોકોના કહેવા મુજબ બાઇક પર આવેલા હત્યારાઓએ રૂપેશ કુમાર પર એક સાથે છ ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ ગનને લહેરાવતાં આ બાઇક સવારો નાસી ગયા હતા. આ ઘટના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પુનાઇચોક વિસ્તારમાં કુસુમ એપાર્ટમેન્ટ પાસે બની હતી. આ ઘટના બન્યા બાદ આખાય વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ ઙતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

અત્રે એ નોંધનીય છે કે બિહાર રાજ્ય ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ 2020ના વર્ષમાં બિહારમાં 2406 હત્યા અને 1106 રેપની ઘટના બની હતી એટલે કે રોજ સરેરાશ નવ હત્યા અને ચાર રેપ થતા હતા. છેલ્લા થોડા મહિનામાં તો બિહારમાં અપરાધોની સંખ્યા ઘણી વધી ગઇ હતી. ગયા ડિસેંબરમાં બિહારના ભોજપુર જિલ્લાના એક રાજદ નેતાની હત્યા થઇ હતી અને કૈમુરમાં ચાર વર્ષની બાળકી પર રેપ થયો હતો.

રૂપેશ કુમારની હત્યાના મુદ્દે રાજદના તેજસ્વી યાદવે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આકરી ટીકા કરી હતી. તેણે ટ્વીટર પર લખ્યું હતું કે બિહારમાં લૂંટફાટ, રેપ, હત્યા અને બીજા અપરાધો દિવસે દિવસે વધી રહ્યા હતા. નીતિશ કુમારની સરકારની આ સૌથી મોટી સિદ્ધિ હતી.

રસપ્રદ વાત એ છે કે આ જ રાજદ નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારને પોતાની સાથે જોડાઇને બિહારમાં સરકાર રચવાની ઑફર મોકલી હતી. તેજસ્વીએ કહ્યું હતું કે તમે મને મુખ્ય પ્રધાન બનાવો. હું આગામી સંસદીય ચૂંટણીમાં તમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.