Western Times News

Gujarati News

73માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનના મુખ્ય અંશો

  1. સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ.
  2. વરસાદ અને પૂર – આજે દેશના અનેક ભાગોમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે લોકો મૂશ્કેલીઓ સામે ઝઝુમી રહ્યા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, NDRF તમામ સંગઠનો, નાગરિકોનું કષ્ટ ઓછુ થાય, સામાન્ય પરિસ્થિતિ ઝડપથી પાછી આવે તે માટે દિવસ રાત પ્રયાસ કરી રહ્યા છે.
  3. કલમ 370 – દસ અઠવાડિયાની અંદર જ કલમ 370 હટાવવી, 35A હટાવવી એ સરદાર વલ્લભભાઇ પટેલના સપનાં સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે કામ છેલ્લા 70 વર્ષમાં નથી થઇ શક્યું તે કામ, નવી સરકારની રચના થયા પછી થયું અને 70 દિવસની અંદર જ કલમ 370 અને 35A દૂર કરવાનું કામ ભારતના બંને ગૃહોએ, રાજ્યસભા અને લોકસભામાં બે તૃત્યાંશ બહુમતિથી થયું. આજે લાલ કિલ્લા પરથી હું જ્યારે દેશને સંબોધી રહ્યો છું, હું ગર્વ સાથે કહી રહ્યો છું કે આજે દરેક હિન્દુસ્તાની કહી શકે છે – એક રાષ્ટ્ર, એક બંધારણ.
  4. ત્રણ તલાક – દસ અઠવાડિયામાં જ આપણી મુસ્લિમ માતાઓ અને બહેનોને તેમનો અધિકાર અપાવવા માટે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો. જો આ દેશમાં, આપણે સતી પ્રથાને ખતમ કરી શકતા હોઇએ, આપણે ભ્રૂણ હત્યા ખતમ કરવા માટે કાયદો બનાવી શકીએ, જો આપણે બાળ લગ્ન વિરુદ્ધ અવાજ ઉઠાવી શકીએ, આપણે દહેજમાં લેણ-દેણના રિવાજ વિરુદ્ધ કઠોર પગલાં લઇ શકીએ, તો પછી શા માટે આપણે ત્રણ તલાક વિરુદ્ધ પણ અવાજ ન ઉઠાવીએ.
  5. આતંકવાદ વિરુદ્ધ કાયદો – આતંકવાદ સાથે જોડાયેલા કાયદાઓમાં આમૂલ પરિવર્તન લાવીને તેને નવી તાકાત આપવાનું, આતંકવાદ વિરુદ્ધ લડવાના સંકલ્પને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું છે.
  6. ખેડૂત સન્માન નિધિ – આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રધાનમંત્રી સન્માન નિધિ અંતર્ગત રૂપિયા 90 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું એક મહત્વપૂર્ણ કામ આગળ વધી રહ્યું છે.
  7. ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન – આપણા ખેડૂત ભાઈઓ – બહેનો, નાના વેપારી ભાઈઓ – બહેનોને, ક્યારેય કલ્પના પણ નહોતી કે કોઇ દિવસ તેમના જીવનમાં પણ પેન્શનની વ્યવસ્થા થઇ શકે છે, એવી પેન્શન યોજના લાગુ કરવાનું કામ કરવામાં આવ્યું છે.
  8. જળશક્તિ અભિયાન – જળસંકટની ખૂબ જ ચર્ચા થાય છે, ભવિષ્ય જળસંકટમાંથી પસાર થશે જેવી પણ ચર્ચા થાય છે. એ બાબતો પર અગાઉથી જ વિચાર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને યોજનાઓ બનાવે તે માટે અલગ જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે.
  9. જળજીવન મિશન – અમે આવનારા દિવસોમાં જળજીવન મિશનને આગળ લાવીશું. તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે અને આવનારા વર્ષોમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ આ મિશન માટે ખર્ચ કરવાનો અમે સંકલ્પ લીધો છે.
  10. ચિકિત્સા કાયદો –આપણા દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડૉક્ટરોની જરૂર છે, આરોગ્યની સુવિધાઓ અને વ્યવસ્થાઓની જરૂર છે. તબીબી શિક્ષણને પારદર્શક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ કાયદાઓ અમે બનાવ્યા છે અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
  11. બાળકોની સુરક્ષા માટે કઠોર કાયદાકીય જોગવાઇની જરૂર હતી. અમે તે કામ પણ પૂર્ણ કરી દીધું છે.
  12. જો 2014 થી 2019 સુધીના સમયનેજરૂરિયાતોની આપૂર્તિનો તબક્કો ગણવામાં આવે તો, 2019 પછીના સમયગાળાને દેશવાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટેનો તબક્કો છે. તેમના સપના સાકાર કરવાનો તબક્કો છે.
  13. જમ્મુ – કાશ્મીર અને લદ્દાખ –જમ્મુ- કાશ્મીર અને લદ્દાખના નાગરિકોની આશાઓ- આકાંક્ષાઓ પૂરી થાય, તે આપણા સૌની જવાબદારી છે. ત્યાંના મારા દલિત ભાઈઓ – બહેનોને, દેશના અન્ય દલિતો જેવા જ સમાન અધિકારો પ્રાપ્ત થતા નહોતા, જે તેમને મળવા જોઇએ. ત્યાં આપણી પાસે એવા સમાજ અથવા વ્યવસ્થાના લોકો ભલે તે ગુર્જર હોય, બકરવાલ હોય, ગદ્દી હોય, સિપ્પી હોય, બાલ્ટી હોય – એવી અનેક જનજાતિઓ છે, જેમને રાજકીય અધિકાર પણ મળવો જોઇએ. ભારતના ભાગલા પડ્યાં, લાખો – કરોડો લોકો વિસ્થાપિત થઇને આવ્યા તેમનો કોઇ ગુનો નહોતો પરંતુ જમ્મુ- કાશ્મીરમાં આવીને વસ્યા, તેમના માનવીય અધિકારો પણ ન મળ્યા, નાગરિક તરીકેના અધિકાર પણ ન મળ્યા.
  14. જમ્મુ- કાશ્મીરના લોકોનું યોગદાન –જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ સુખ – સમૃદ્ધિ અને શાંતિ માટે સંપૂર્ણ ભારત માટે પ્રરેક બની શકે તેમ છે. ભારતની વિકાસ યાત્રામાં તે ખૂબ જ મોટું યોગદાન આપી શકે છે. હવે, જમ્મુ- કાશ્મીરનો સામાન્ય નાગરિક પણ દિલ્હીની સરકારને સવાલ પૂછી શકે છે. તેમની વચ્ચે કોઇ જ અવરોધ આવશે નહિં. આ સીધે સીધી વ્યવસ્થા આજે આપણે કરી શક્યા છીએ.
  15. એક રાષ્ટ્ર, એક કર –GSTના માધ્યમથી અમે એક રાષ્ટ્ર, એક કરનું સપનું સાકાર કર્યું છે. છેલ્લા દિવસોમાં ઊર્જા ક્ષેત્રે એક રાષ્ટ્ર, એક ગ્રીડનું પણ અમલીકરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. એક રાષ્ટ્ર, એક મોબિલિટી કાર્ડ – આ વ્યવસ્થાને પણ અમે વિકસિત કરી છે. અને આજે ચર્ચા એવી ચાલી રહી છે કે, “એક દેશ, એક ચૂંટણી”. તેની ચર્ચા થવી જ જોઇએ, લોકશાહી પદ્ધતિથી થવી જોઇએ.
  16. જનસંખ્યા વિસ્ફોટ –જનસંખ્યા વિસ્ફોટ આપણા માટે, આપણી આવનારી પેઢીઓ માટે અનેક નવા સંકટ ઉભા કરી શકે છે પરંતુ આપણા દેશમાં એક જાગૃત વર્ગ પણ છે, જેઓ આ વાતને ખૂબ સારી રીતે સમજી શકે છે. તેમનું સન્માન કરવાની જરૂર છે. સમાજના બાકીના વર્ગોને જોડીને જનસંખ્યા વિસ્ફોટની આપણે ચિંતા કરવી જ જોઇએ.
  17. ભ્રષ્ટાચાર, ભાઇ- ભત્રીજાવાદ –ભ્રષ્ટાચાર, ભાઇ- ભત્રીજાવાદના કારણે આપણા દેશને કલ્પના કરતા પણ વધુ નુકસાન થયું છે અને ઉધઈની જેમ આપણ જીવનમાં આ દૂષણ ઘુસી ગયું છે. આ એક એવી બીમારી છે, જેને દૂર કરવા માટે નિરંતર ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને નાબૂદ કરવાના દિશામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
  18. લોકોના જીવનમાં સરકારનો હસ્તક્ષેપ –આઝાદ ભારતનો મતલબ મારા મતે એવો થાય કે ધીમે-ધીમે સરકારો લોકોના જીવનમાંથી બહાર આવે. એવી ઇકો-સિસ્ટમ આણે બનાવવી પડશે, જેનાથી ન સરકાર પર દબાણ આવે, ન સરકારનો અભાવ હોય, પરંતુ આપણે સપના સાથે આગળ વધીએ. ઇઝ ઓફ લીવિંગ આઝાદ ભારતની આવશ્યકતા છે.
  19. વધતી પ્રગતિ સામે ઊંચી છલાંગ –આપણો દેશ આગળ વધે પરંતુ વધતી પ્રગતિથી. તેના માટે દેશ હવે વધુ રાહ ન જોઇ શકે, આપણે નવી ઊંચી છલાંગો લગાવવી પડશે.
  20. આધુનિક માળખાગત વિકાસ –અમે નક્કી કર્યું છે કે આ સમયગાળામાં 100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચવામાં આવશે, જેનાથી રોજગારી ઉભી થશે, જીવનમાં નવી વ્યવસ્થાનો વિકાસ થશે.
  21. 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર –અમે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું સપનું સેવ્યું છે. આઝાદીના 70 વર્ષ પછી આપણે બે ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર પર પહોંચ્યા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે લોકો બે ટ્રિલિયનમાંથી ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયા છીએ. આ ગતિથી આપણે આવનારા પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકીશું.
  22. ગ્રામીણ વિકાસ અને ખેડૂતોની આવક –આઝાદીના 75 વર્ષમાં દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઇએ. દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઇએ, દરેક પરિવાર પાસે વીજળી હોવી જોઇએ, દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને બ્રોડબેન્ડની કનેક્ટિવિટી હોય અને સાથે-સાથે દૂરના અંતરેથી અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ હોવી જોઇએ.
  23. આપણી દરિયાઇ સંપત્તિ,બ્લ્યુ ઇકોનોમી આ ક્ષેત્રમાં આપણે ભાર મૂકીએ. આપણા ખેડૂતો અન્નદાતા છે, તેઓ ઊર્જાદાતા બને. આપણા ખેડૂતો, એ પણ કેમ નિકાસકાર ના બને. આપણા દેશની નિકાસ વધારવી જ જોઇશે. આપણે દરેક જિલ્લામાં નિકાસ હબ બનાવવાની દિશામાં શા માટે ના વિચારીએ. હિન્દુસ્તાનમાં કોઇપણ જિલ્લો એવો ના હોય જ્યાંથી કંઇકને કંઇક નિકાસ ના થતી હોય. મૂલ્ય વર્ધનની ચીજો દુનિયાના અનેક દેશો સુધી નિકાસ થવી જોઇએ.
  24. પ્રવાસન –આપણો દેશ પર્યટન સ્થળ તરીકે દુનિયા માટે એક અજાયબી બની શકે છે. આપણે તમામ દેશવાસીઓ નક્કી કરીએ કે આપણે દેશમાં પ્રવાસન પર ભાર મૂકવાનો છે. જ્યારે પ્રવાસન વધે છે ત્યારે ઓછામાં ઓછા નાણાકીય રોકાણમાં વધુમાં વધુ રોજગારી ઉભી થાય છે. દેશના અર્થતંત્રને વેગ મળે છે. શું તમે નક્કી કરી શકો છો કે, 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થાય તે પહેલા તમારા પરિવારની સાથે ભારતમાં ઓછામાં ઓછા 15 ફરવા લાયક સ્થળો પર જશો.
  25. સ્થિર સરકાર – ભરોસાપાત્ર નીતિ –જ્યારે સરકાર સ્થિર હોય છે, નીતિ અનુમાનિત હોય છે, વ્યવસ્થાઓ સ્થિર હોય છે તો દુનિયાને પણ એક વિશ્વાસ બેસે છે. વિશ્વ પણ ભારતની રાજકીય સ્થિરતાને ખૂબ ગર્વ અને આદરપૂર્વક જોઇ રહ્યું છે.
  26. મોંઘવારી અને વિકાસમાં સંતુલન –આજે આપણા માટે ગર્વનો વિષય છે કે મોંઘવારીને અંકુશમાં રાખીને આપણે વિકાસ દર વધારવાની દિશામાં મહત્વપૂર્ણ સમીકરણને સાથે લઇને ચાલીએ છીએ.
  27. અર્થતંત્ર –આપણા અર્થતંત્રનો પાયો ખૂબ જ મજબૂત છે. GST અને IBC જેવા સુધારા લાવવા એ પોતાની રીતે એક નવો વિશ્વાસ જગાવે છે. આપણા રોકાણકારો વધુ કમાય, વધુ રોકાણ કરે અને વધુ રોજગારી ઉભી થાય. આપણે સંપત્તિ સર્જકોને આશંકાની નજરે ન જોઇએ. તેમનું ગૌરવ વધવું જોઇએ અને સંપત્તિનું સર્જન નહીં થાય તો સંપત્તિનું વિતરણ પણ નહીં થાય. જો સંપત્તિનું વિતરણ નહીં થાય તો દેશના ગરીબ લોકોની ભલાઇ નહિં થાય.
  28. આતંકવાદ –ભારત આતંક ફેલાવનારાઓ સામે મજબૂતીથી લડી રહ્યું છે. આતંકવાદને આશરો, પ્રોત્સાહન અને તેની નિકાસ કરનારી તાકાતોને ઉજાગર કરીને દુનિયાના દેશો સાથે મળીને ભારત પોતાની ભૂમિક અદા કરે, અમે એવું જ ઇચ્છીએ છીએ. આતંકવાદને નેસ્ત નાબૂદ કરવામાં આપણા સૈનિકો, સુરક્ષાદળો અને સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. હું તેમને વંદન કરું છું.
  29. ભારતના પડોશી દેશો –બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા આતંકવાદનો સામનો કરી રહ્યા છે. આપણું પડોશી રાષ્ટ્ર અને એક સારું મિત્ર અફઘાનિસ્તાન ચાર દિવસ પછી 100મો આઝાદીનો ઉત્સવ ઉજવશે. હું અફઘાનિસ્તાનના મિત્રોને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
  30. સૈન્યમાં સુધારો –આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ, સૈન્ય સંસાધન – તેના સુધારા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અનેક સરકારોએ તેની ચર્ચા કરી છે. અનેક કમિશન બેઠા છે, અનેક રિપોર્ટ આવ્યા છે અને બધા રિપોર્ટમાં લગભગ એક જ સૂર ઉજાગર થાય છે. આપણી સંપૂર્ણ સૈન્યશક્તિને એકજૂથ કરીને એક સાથે આગળ વધારવાની દિશામાં કામ કરવું પડશે. જળ, સ્થળ, આકાશમાં ત્રણેય સૈન્ય એક સાથે એક જ ઊંચાઇએ આગળ વધે. આજે અમે નિર્ણય કર્યો છે કે જ્યારે આપણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ – CDSની વ્યવસ્થા કરીશું અને આ હોદ્દાની રચના કરીશું તે પછી ત્રણેય સેનાઓના ટોચના સ્તરે અસરકારક નેતૃત્વ મળશે. હિન્દુસ્તાનની સામરિક દુનિયાની ગતીમાં આ CDS એક મહત્વપૂર્ણ અને સુધારો લાવનારું તથા બળ આપનારું કામ છે.
  31. સ્વચ્છતા અભિયાન –મેં આ જ લાલ કિલ્લા પરથી 2014માં સ્વચ્છતાની વાત કરી હતી. થોડા અઠવાડિયા પછી બાપુની 150મી જયંતી, 02 ઓક્ટોબરના રોજ ભારત પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત રાષ્ટ્ર જાહેર કરી શકશે. રાજ્યો, ગામડાઓ, નગર પાલિકાઓ અને મીડિયાએ સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવી દીધું છે.
  32. પ્લાસ્ટિક મુક્ત ભારત –એક નાની એવી અપેક્ષા આજે હું તમારી પાસેથી રાખવું છું. શું આપણે આ 02 ઓક્ટોબરના રોજ ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અપાવી શકીએ. તેના માટે દરેક નાગરિક, નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.
  33. મેક ઇન ઇન્ડિયા –મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ આપણી પ્રાથમિકતા શા માટે ન હોઇ શકે? આપણે ભાગ્યશાળી આવતીકાલ માટે સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકવો પડશે. દેશના અર્થતંત્રમાં પણ તેના થકી આપણે મદદ રૂપ થઈ શકીએ છીએ.
  34. ડિજિટલ પેમેન્ટ –આપણું ડિજિટલ પ્લેટફોર્મ ખૂબ જ મજબૂતી સાથે ઉભરી રહ્યું છે પરંતુ ગામડાઓમાં, નાની નાની દુકાનોમાં પણ, આપણા શહેરના નાના નાના મોલમાં પણ શા માટે આપણે ડિજિટલ પેમેન્ટ પર ભાર ન મૂકીએ?
  35. રાસાયણિક ખાતરોનો ઉપયોગ –આપણે રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરીને જમીનનું સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના છે. શું આપણે 10 ટકા, 20 ટકા, 25 ટકા પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર ઓછું કરી શકીશું ? શક્ય હોય તો મુક્તિકર અભિયાન ચલાવીશું. મારા ખેડૂતો મારી માંગણીને પૂરી કરશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.
  36. પ્રગતિના નવા પરિમાણો –આપણા દેશના પ્રોફેશનલ્સની આજે આખી દુનિયામાં પ્રસિદ્ધિ છે. આપણું ચંદ્રયાન ઝડપથી ચંદ્રના એ છેડા તરફ આગળ વધી રહ્યું છે જ્યાં અત્યાર સુધી કોઇ પહોંચી શક્યું નથી. આજે દુનિયાના રમતના મેદાનોમાં મારા દેશના 18 થી 22 વર્ષના દીકરા- દીકરીઓ હિન્દુસ્તાનનો તિરંગો લહેરાવી રહ્યા છે.
  37. નવું લક્ષ્ય –આવનારા દિવસોમાં ગામડાઓમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર બનાવવા પડશે. દર ત્રણ લોકસભા ક્ષેત્ર વચ્ચે એક મેડિકલ કોલેજ, બે કરોડથી વધુ ગરીબ લોકો માટે ઘર, 15 કરોડ ગ્રામીણ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવાનું છે. ગામડાઓના સવા લાખ કિલોમીટરના માર્ગો બનાવવાના છે અને દરેક ગામને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવાના છે. 50 હજારથી વધુ નવા સ્ટાર્ટઅપનું નેટવર્ક તૈયાર કરવાનું છે.
  38. સમતા મૂલક સમાજ –ભારતના બંધારણને 70 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. બાબા સાહેબ આંબેડકરના સપનાં અને આ વર્ષ મહત્વપૂર્ણ છે, ગુરુનાનક દેવની 550મી તિથિનું પર્વ પણ છે. આવો, બાબા સાહેબ આંબેડકર, ગુરુનાનક દેવજીએ આપેલા બોધપાઠને સાથે લઇને આપણે આગળ વધીએ અને એક ઉત્તમ સમાજનું નિર્માણ, ઉત્તમ દેશનું નિર્માણ, વિશ્વની આશાઓ અને અપેક્ષાઓને અનુરૂપ ભારતનું નિર્માણ કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.