શહેરામાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૬ માં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી.
ધ્વજવંદન બાદ ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ જિલ્લા કલેકટર આશિષકુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપનાર અનેક નામી અનામી શહિદોને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દૂરદર્શી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતાં જણાવ્યું હતુ કે, આપણા ગણતંત્રનું ૭૬ મુ વર્ષ અનેક અર્થોમાં દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે.
સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધતાં અમૃતકાળના દોરમાંથી પસાર થઈ રહેલા ભારત દેશના નાગરિકોને બંધારણમાં નિહિત, આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરી આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
ઉપાધ્યક્ષ એ ભારતના ઇતિહાસમાં ૨૬મી જાન્યુઆરીનું એક વિશેષ મહત્વ હોવાનું જણાવી સંવિધાનમાં દર્શાવેલા કર્તવ્યો, અધિકારો અને સંરક્ષણો સાથે જોડીને આજના દિવસની ઉજવણી કરવી જોઇએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી
૨૬મી જાન્યુઆરીને દેશની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને લોકતંત્રતા પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવી હતી. તેમણે આઝાદ હિંદનુ શમણુ સાકાર કરવામાં ગુજરાત રાજ્ય અને તેમાં પંચમહાલ જિલ્લાનો ફાળો મહત્વનો રહ્યો છે તેમ જણાવી ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમ્યાન વિવિધ ચળવળો અને આંદોલનોમાં પંચમહાલ જિલ્લાના અનેક કાર્યકરોએ જોડાઈને યોગદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું.