સ્થાનિક સ્તરે ટાયર ઉત્પાદન ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમઃ ATMA
ભારત સરકારને કરેલા એક કમ્યૂનિકેશનમાં ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (એટીએમએ)એ જણાવ્યું છે કે ઓટોમોટિવ ટાયર્સ એ ક્ષેત્રોમાં અગ્રેસર છે જ્યાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ આયાતોને બિનજરૂરી બનાવી શકે છે.
સરકારે તાજેતરમાં જ ઉદ્યોગજગતને એવી વસ્તુઓ જણાવવા કહ્યું છે જેમાં ભારત આત્મનિર્ભર બનવાની ક્ષમતા ધરાવે છે જેથી સ્થાનિક ઉદ્યોગના હિતોને સાચવીને આગામી એફટીએ તૈયાર કરી શકાય.
એટીએમએ મુજબ ભારતનો સ્થાનિક ટાયર ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટા ઉદ્યોગોમાં સ્થાન ધરાવે છે જે ટુ-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને ઓફ-રોડ વ્હીકલ્સ સહિત વિવિધ કેટેગરીઓમાં 200 મિલિયનથી વધુ યુનિટ્સની વાર્ષિક ક્ષમતા ધરાવે છે.
પૂરતી ઉત્પાદન ક્ષમતાઓ હોવા છતાં રૂ. 2,000 કરોડથી વધુના ટાયર્સની નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં આયાત થઈ હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ગાળા કરતાં 27 ટકાનો વધારો દર્શાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ટાયર સેક્ટરમાં નોંધપાત્ર રોકાણો થયા છે જેમાં અગ્રણી ઉત્પાદકોએ ક્ષમતા વિસ્તરણ, ટેક્નોલોજી અપગ્રેડ્સ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ્સ માટે રૂ. 35,000 કરોડથી વધુ ફાળવ્યા છે. નવી ક્ષમતાઓ ઊભી થઈ રહી છે ત્યારે ટાયર્સની આયાત કરવાના બદલે સ્થાનિક ઉત્પાદનની માંગને પહોંચી વળાય તે જરૂરી છે, એમ એટીએમએના ચેરમેન શ્રી અર્નબ બેનર્જીએ જણાવ્યું હતું.
સ્થાનિક ટાયર ઉદ્યોગ નોંધપાત્ર રોજગારીનું સર્જન કરે છે અને 5,00,000થી વધુ લોકોને ઉત્પાદન, વિતરણ અને સંબંધિત સેવાઓમાં પ્રત્યક્ષપણે અને પરોક્ષપણે આજીવિકા પૂરી પાડે છે. ટાયર્સના સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રાથમિકતા આપવી એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેશમાં 10 લાખથી વધુ રબર ઉગાડતા ખેડૂતોની આજીવિકા ટાયર ઉદ્યોગ પર નભે છે જે સ્થાનિક એનઆરના 70 ટકા જેટલો વપરાશ કરે છે.
ભારતમાં ટાયર ઉદ્યોગ ક્ષેત્રે પરિવર્તનો આવી રહ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટાઇઝેશન જેવા કન્સેપ્ટ્સ જે પ્રકારે ઉદ્યોગ કામ કરે છે તેમાં મોટાપાયે ફેરફારો લાવી રહ્યા છે.
ભારતીય ટાયર ઉદ્યોગ અનેક બાબતે વિશ્વમાં ઝડપથી પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. ભારતમાં અગ્રણી ટાયર કંપનીઓ દ્વારા આરએન્ડડી પાછળ થતો ખર્ચ થોડા વર્ષો પહેલા આવકના 0.5 ટકાથી 0.6 ટકા જેટલો હતો તે વધીને હવે 1.5 ટકા થયો છે.
“ઉદ્યોગ હવે ડિઝાઇન, ડેવલપમેન્ટ અને દેશમાં ઉત્પાદિત તમામ શ્રેણીઓ અને પ્રકારનાં વાહનો માટે ટાયરનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓટો ઓઈએમની જરૂરિયાતોને પહોંચી વળવા સજ્જ છે. ઉદ્યોગ તમામ પ્રકારના ટાયરના ઉત્પાદનમાં માંગની બાબતે આગળ છે. વાહનની કલ્પના થતાં જ ટાયર કંપનીઓ ફિટમેન્ટ સાથે તૈયાર થઈ જાય છે. પરિણામે, ઓટો ઓઈએમ ટાયરની આયાત કરતા નથી અને સ્થાનિક ટાયર ઉદ્યોગ જરૂરિયાતોને સંતોષી રહ્યો છે”, એમ શ્રી બેનર્જીએ ઉમેર્યું હતું.
હાલમાં, ટાયર ઉત્પાદકો તીવ્ર આરએન્ડડી કામગીરી દ્વારા મેન્યુફેક્ચરિંગ મિકેનિઝમ્સમાં ફેરફાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે જેથી ઉત્સર્જન ઘટાડવા, લાઇટ વેઇટિંગ, ઇંધણ કાર્યક્ષમતા વધારવા અને રોલિંગ પ્રતિકાર ઓછો કરવાની અપેક્ષાઓ પૂરી કરી શકાય.
સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને અને ટેક્નોલોજીકલ પ્રગતિનો લાભ લઈને ભારત રોજગારીનું સર્જન કરીને, ટકાઉપણાને પ્રોત્સાહન આપીને અને આર્થિક વૃદ્ધિને આગળ વધારતા ટાયર ઉદ્યોગમાં વૈશ્વિક નેતા તરીકે તેની સ્થિતિ મજબૂત કરી શકે છે.