અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલમાંથી ૭.૫૦ લાખની કિંમતના ૨૫ કિલો ઓલેઝેપાઈન પાવડરની ચોરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી અડધો કલાકમાં જ માનસિક રોગોની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ૨૫ કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા ૭.૫૦ લાખની ચોરી થતા ચકચાર મચી ગઈ છે.
અંકલેશ્વર GIDC માં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના પાવડર પ્રોસેસિંગ એરિયામાં ડ્રમમાં રહેલી ૨૫ કિલોની બેગ ચોરી થયાની ફરિયાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન કૃષ્ણ જીવન શેઠે જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવી છે.
કંપનીના પી.પી એરિયામાં ૨૫ કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા ૭.૫૦ લાખની બેગ શનિવારે સવારે ૬ થી ૬ ઃ ૩૦ ના અરસામાં ગાયબ થઈ ગઈ હતી.કંપનીમાં અનેક શોધખોળ બાદ બીજા રૂમ માંથી માત્ર ખાલી ડ્રમ જ મળી આવ્યું હતું. પીળા સ્ફટિકીય રૂપમાં આવતા ઓલેનઝેપાઈન પાવડરનો ઉપયોગ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દવા બનાવવા મંજુર થયો છે.
પ્રથમ શનિવાર ૪ ડિસેમ્બરે હોવાથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન શેઠને રજા હોય વડોદરા હતા.જેમના ઉપર ડેપ્યુટી મેનેજર કમલકાંત પટેલનો ફોન આવ્યો હતો.પી.પી એરિયામાં પાવડરનું ડ્રમ નહિ હોવા અંગે જણાવતા જ્યાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર મુકેશ પરમારને કોલ કરાયો હતો.
જેમણે તપાસ કરતા બાજુના રૂમ માંથી ખાલી ડ્રમ મળી આવ્યું હતું. જે અંગે કંપનીના જ કોઈ કર્મચારીએ કિંમતી પાવડરની ૨૫ કિલોની બેગ સગેવગે કરી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.તો બનાવ અંગે પોલીસે તપાસ હાથધરી છે.*