અંકલેશ્વરની યુપીએલ યુનિટ -૧માં બ્લાસ્ટ સાથે ભયંકર આગ ફાટી નીકળી ૬ ને ગંભીર ઈજા.
અગ્નિકાંડમાં કલેકટર,જીલ્લા પોલીસવડા એસડીએમ,મામલતદાર,સ્થાનિક પોલીસ,જીલ્લા વહીવટી તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં આગની દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આગ અંગે ઝીણવટભરી તપાસ કરાવવાની જરૂર છે. અંકલેશ્વર જીઆઈડીસી યુપીએલ યુનિટ-૧ માં વહેલી સવારે પ્રોસેસ દરમ્યાન ટેમ્પરેચર વધી જતા ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા તંત્ર દોડતું થયું હતું અને ગંભીર રીતે ઘવાયેલા ૬ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ આરંભી હતી.કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવામાં સફળતા મળી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ યુપીએલ યુનિટ – ૧માં વહેલી સવારે ૭:૩૦ કલાકના અરસામાં કંપનીના યુનિટમાં પ્રોડક્ટની પ્રોસેસ ચાલી રહી હતી.તે દરમ્યાન ટેમ્પરેચર વધી જતા ભયંકર સર્જાયો હતો અને બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા નજીકમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોમાં (૧) અંબાલાલ પટેલ (ઉંમર ૫૮) રવિન્દ્ર યાદવ (ઉંમર વર્ષ ૨૮) જીલ હાલા (ઉંમર વર્ષ ૨૩) ગીરવતભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૫૫) અશ્વિનભાઈ મોદી (ઉંમર વર્ષ ૫૫) શ્યામ શરણ તિવારી (ઉંમર વર્ષ ૪૫) મળી કુલ ૬ જણા ગંભીર રીતે દાઝ્યા હતા.તેઓને તાત્કાલીક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
યુપીએલ યુનિટ-૧ માં ભયંકર બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાની જાણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ નૈતિકા પટેલ ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેર ભરૂચ જીલ્લા પોલીસવડા ડોક્ટર ડૉ.લીના પાટીલ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે ભરૂચ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા સહિતની વિવિધ જીઆઈડીસીઓ માંથી ફાયર બંબાઓ દોડાવી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા પ્રાપ્ત થઈ હતી.સતત એક કલાક સુધી આઠથી દસ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવતા આખરે આગ કાબુમાં આવતાં સ્થાનિક કોઈ હાશકારો અનુભવ્યો હતો.