અંબાજીમાં નવરાત્રિ: વૈદિક પરંપરાથી ઘટ સ્થાપના કરાઈ

અંબાજી, આજથી શારદીય નવરાત્રિ નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર ૭.૩૦ કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા અને સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું.
અંબાજીના દ્વાર બે વર્ષ બાદ નવરાત્રિએ ભક્તો માટે ખૂલતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. તેથી જ ભક્તો માટે આ નવરાત્રિ ખાસ બનીને રહેવાની છે. મોડી રાતથી જ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર પહોંચી ગયા હતા. સવારે મંદિરના દ્વાર ખૂલે તેની રાહ જાેઈ રહ્યા હતા. નવરાત્રિના પ્રથમ નોરતે જ દર્શનનો લ્હાવો લઈને ભક્તો ધન્ય થયા હતા.
આજે નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના ૫ વિભાગોની વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી હતી. પૂર્ણેશ મોદી વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં દર્શને પહોંચ્યા હતા. જ્યાં સજાેડે માતાજીની પૂજા અર્ચના સહિત આરતી કરી હતી. મંદિરના વહીવદાર એસ જે ચાવડાએ મંત્રી પૂર્ણેશ મોદીને શ્રીયંત્ર ભેટ અર્પણ કર્યું હતું અને ત્યાર બાદ પૂર્ણેશ મોદીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા.HS