અકસ્માત મૃત્યુ પામનારના કેસમાં ૩ર લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
નીચલી કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા કરેલા હુકમ સામે હાઈકોર્ટમાં અરજી
અમદાવાદ, માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ વળતર પેટે રૂ.૬.૪૭ લાખ ચૂકવવા નીચલી અદાલતે વીમા કંપનીને કરેલા આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે અને રૂ.૩ર લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ મોનાબહેન ભટ્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે
કે મૃતકની આવક ૧૮ હજાર રૂપીયાથી ઓછી ન હોઈ શકે. જેથી તેની આવક ૧૮ હજાર નકકી કરીને કુલ ૩ર લાખ ર૯ હજારની રકમ વીમા કંપનીને મૃતકના કુટુંબીજનોને ચૂકવવા આદેશ કરવામાં આવે છે. સાથે જ કોર્ટે કંપનીને પણ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બાઈક અકસ્માતના કારણે વાહન ચાલકનું મૃત્યુ થયું હતું. મૃતક વ્યક્તિ પોતે ભાજીપાઉંની લારી ચલાવતો હતો અને કુટુંબની આવકનું એકમાત્ર સ્તોત્ર પણ એ જ હતો. મૃતકના અવસાન બાદ પરિવારજનોએ વળતર માટે વીમા કંપની સામે ધોરાજી કોર્ટમાં અપીલ કરી હતી.
આ બાબતે વળતરનો કેસ ચાલ્યા બાદ નીચલી કોર્ટે મૃતક વ્યક્તિની માસિક આવક ૩૦૦૦ ગણીને રૂપિયા ૭.૧૯ લાખનું વળતર રકમ ચૂકવવા આદેશ કર્યો હતો તેમાં પણ વાહન ચાલકની બેદરકારી માટે ૧૦ ટકા રકમ કાપી ૬.૪૭ લાખની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.
ધોરાજી કોર્ટના ચુકાદા સામે મૃતકના પરિજનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં પરિવાજનોએ માસીક આવકની ગણતરી સામે વાંધો ઉઠાવી, અન્ય મળવા પાત્ર લાભોની રકમ વધારવા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી મૃતકની બેંકના આર્થિક વ્યવહારોની વિગતો, તેના બાળકોની સ્કૂલ ફી, ઉપરાંત રિકરિંગ એકાઉન્ટની વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
તે ઉપરાંત કુટુંબમાં આઠ લોકોના ગુજરાન માટે ૩ હજારની માસિક આવક પર્યાપ્ત ન હોવાની દલીલ કરી હતી. જે તમામ તથ્યોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો હતો કે તેઓ વળતર તરીકે ૩ર લાખ રૂપિયા ચુકવી આપે. (એન.આર.)